નીતિન ગોહેલ, ભાવનગર: ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં શહેરનાં શિક્ષક સાગર દવે પ્રેરણાનાં પિયૂષથી દર્દીઓમાં કોરોનાનો ડર હટાવી હકારાત્મકતા ભરી શાતા આપી રહ્યાં છે. સામાન્ય રીતે કોરોનાનાં વોર્ડમાં વધુ દિવસો સુધી રહેવું પડે ત્યારે કોરોનાનાં મોટાભાગનાં દર્દીઓ કોરોનાનાં ડરથી ભાંગી પડતા હોય છે. આવા દર્દીઓને મનની મજબૂતી આપવા અને તેમને સાજા કરવાનો નવતર અભિગમ સર તખ્તસિંહજી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તેઓ કોરોનાના દર્દીઓને પ્રેરણાત્મક ગાથા અને સંસ્કૃતની ઋચાઓ સંભળાવી ‘આત્મવિશ્વાસના ઇન્જેક્શન’ આપવાનો નવતર અભિગમ અપનાવી દ્વારા દર્દીઓનું મન બહેલાવવાનો તથા તેમને મનથી મજબૂત કરવાનું ઉમદા કાર્ય તેઓ કરી રહ્યાં છે.
સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ભાવનગરનાં શિક્ષક સાગર દવે દર્દીઓને સવાર-સાંજ આરતી, સ્તુતિ, ર્ધામિક ભજનો સંભળાવે અને ગવડાવે છે, જેનાથી વાતાવરણ હળવું બને છે. વ્યવસાયે શિક્ષક એવા ભાવનગરનાં સાગર દવે પ્રેરણાત્મક કિસ્સાઓ, વાર્તાઓ, દુહા-છંદ, સંસ્કૃતની ઋચાઓ તથા શ્લોક દ્વારા કોરોના દર્દીઓના મનને શાંતિ મળે અને તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવે તે માટે સવાર-સાંજ પ્રેરણાના પિયૂષ આપી રહ્યાં છે. તેઓનાં માતૃશ્રી નયનાબેન કે જેઓ ૧૫ દિવસ પહેલા જ કોરોના સામેનો જંગ હારી ગયાં હતાં. તેમાંથી પ્રેરણા લઈ ને કોરોનાનાં વોર્ડમાં જે ભયનું વાતાવરણ દર્દીઓ વચ્ચે હોય છે તેને હળવું કરવા માટે દરરોજ સર તખ્તસિંહજી હોસ્પિટલનાં વિવિધ વોર્ડમાં જઈને એક કલાક સુધી પ્રેરણાત્મક વાતો દ્વારા દર્દીઓનું મન બહેલાવવાનો તથા તેમને મનથી મજબૂત કરવાનું ઉમદા કાર્ય તેઓ કરી રહ્યાં છે.
‘શબ્દના અજવાળે’ કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવવાની જીજીવિષા જગાવવાને પોતાનું પરમ કર્તવ્ય સમજતાં ભાવનગરનાં શિક્ષક સાગરભાઈએ આઠ વર્ષ સુધી પોરબંદરના સાંદિપની આશ્રમમાં વ્યાકરણાચાર્યનો અભ્યાસ કર્યો છે અને તેથી તેમનું સંસ્કૃત પર ભારે પ્રભુત્વ છે. તેઓ કહે છે કે, કુદરતે આપેલી શક્તિઓનો પર પીડાને પોતાની પીડા સમજીને સમુચિત ઉપયોગ કરીએ અને તેનાં દ્વારા અન્ય લોકોના ચહેરા પર આનંદની છોળો લાવી એ તે પ્રભુ સેવાનું કામ છે. કોરોનાના દર્દીઓના મનને મજબૂત કરવા તોરા મન દર્પણ દિખલાયે, યે વક્ત ભી ગુજર જાયેગા, ડર કે આગે જીત હૈ, ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’ જેવી ઉક્તિઓને વાસ્તવમાં ચરિતાર્થ કરવાનો સ્તુત્ય પ્રયાસ સાગર દવે દ્વારા કરવામાં આવી રહ્યો છે. સર તખ્તસિંહજી હોસ્પિટલનાં કોરોનાનાં દર્દીઓને પ્રેરણાત્મક ગાથા અને સંસ્કૃતની ઋચાઓ સંભળાવી 'આત્મવિશ્વાસના ઇન્જેક્શન' આપવાનો નવતર અભિગમ આપી રહ્યાં છે.
"હું સ્વસ્થ છું, મારામાં સાજો થવાની શક્તિ છે, હું મનથી મજબૂત છું, હું કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહી શકું છું, દરેક ક્ષણ અને દરેક દિવસે મારૂં શરીર તંદુરસ્ત થતું જાય છે.’’ આવા હકારાત્મકતાથી ભરેલા શબ્દો દ્વારા સાગર દવે કોરોનાના વોર્ડમાં રહેલાં નેગેટીવ વાતાવરણમાં વિધાયક રીતે સકારાત્મકતાનો સંચાર કરે છે. તેમણે કહ્યું કે, તેમના માતૃશ્રી નયનાબેન જ્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં હતા. ત્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલના ડો.અધિશભાઈ અને સિક્યુરિટી ઇન્ચાર્જ અનિલભાઈએ તેમને તેમની માતા સાથે પ્રેરણાત્મક વાતો કરતાં જોઇને. તેમના વિચારો હોસ્પિટલમાં રહેલા અન્ય દર્દીઓ સાથે પણ વહેંચવા માટે અપીલ કરી હતી. તેમની અપીલ અને વિશ્વાસને ધ્યાનમાં લઇ તેમજ ડો.અધિશભાઈ અને અનિલભાઈના સહકારથી અને સર તખ્તસિંહજી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડી.જયેશ બ્રહ્મભટ્ટની કોરોના વોર્ડમાં પૂરતું સંરક્ષણ લઈ ની.પી.ઈ. કીટ પહેરીને જવાની સગવડ દ્વારા હું છેલ્લા પંદર દિવસથી આ કાર્ય કરી રહ્યો છું.તેઓ વધુમાં ઉમેરે છે કે, મારા માતૃશ્રીનાં તર્પણ તરીકે અન્ય કોઈની પણ માતા પોતાનાથી વિખુટી ન થાય તે માટે દરરોજ એક કલાક જુદા-જુદા વોર્ડમાં જઈને પ્રેરણાત્મક વાતો દ્વારા કોરોના વોર્ડમાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરું છું.
કોરોના વોર્ડમાં રહેલા દર્દીઓ મનથી જીવવાની આશા ગુમાવી ચુક્યા હોય છે. તેવાં વાતાવરણ વચ્ચે પોતે પી..પી.ઈ. કીટ પહેરીને હેડફોન દ્વારા કોરોના વોર્ડમાં સ્પીકર દ્વારા બોર્ડના તમામ દર્દીઓને પોઝિટિવ ઊર્જા વિશે વાત કરે છે. દર્દીઓને હૃદય, માથા શિખા પર હાથ રાખીને શબ્દોની શક્તિ દ્વારા શરીરને સુરક્ષિતતા અને કવચ આપવાનું કામ તેઓ વેદ-ઋગ્વેદની ઋચાઓને સ્વરબદ્ધ રીતે ગાઈને રજૂ કરે છે. પોતાનાં સગા પણ કોરોના પોઝિટિવ વોર્ડમાં જતાં ડરે છે તેવા વાતાવરણમાં સાગરભાઇ કોરોના વોર્ડના દરેક બેડ પાસે જઈ દર્દીઓને શાતા આપવાનું કામ કરે છે. તેઓ કહે છે કે, વિપરિત પરિસ્થિતિઓમાં મન તો હંમેશા નકારાત્મક જ વિચારે છે. ત્યારે મારા કર્મથી જો કોરોનાના દર્દીઓને 'દવા સાથે દુઆ' પણ મળશે અને તેમની મનની સંકલ્પ શક્તિથી મનમાં આનંદના ફુવારા ફેલાશે, તેઓના દર્દને ઓછું કરી શકાશે તો આ મારો પ્રયત્ન લેખે લાગશે.