કિંજલ કારસરીયા, જામનગર : જામનગરની જલાની જારમાં યોજતા વિશ્વવિખ્યાત ઈશ્વર વિવાહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચૂંટણી નજીક છે ત્યારે ધારાસભ્ય સહિતના નેતાઓ પણ નવરાત્રીના પર્વનો લ્હાવો લઇને જનતા વચ્ચે ઉપસ્થિતિ વધારી રહ્યા છે. જામનગરમાં યોજાતા ઈશ્વર વિવાહમાં જામનગર અને દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા.
આ વર્ષે પણ ગઈકાલે રાત્રે જલાની જાર ગરબી મંડળમાં આ અતિ લોકપ્રિય થયેલો ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાત-જાતના ભેદભાવ વગર પુરુષોએ કેશરી પીતાંબર, ધોતીયા, ઝભ્ભા, બંડી ધારણ કરીને આસ્થાભેર ઈશ્વર વિવાહને ઉજવ્યો હતો. ચૂંટણી નજીક છે ત્યારે જામનગર 79 ના ધારાસભ્ય આર.સી. ફળદુ પણ ભાજપના નેતાઓ સાથે આ ઈશ્વર વિવાહમાં પહોંચ્યા હતા. અને ધોતી ઝભ્ભો પહેરી ધારાસભ્ય ફળદુ પણ ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.
જામનગરમાં યોજાતા આ ઈશ્વર વિવાહની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ઢોલ, તબલા, હારમોનીયમ કે અન્ય કોઈ કરતાં કોઈ વાજિંત્રોનો ઉપયોગ કરાતો નથી. પ્રાચીન પરંપરા પ્રમાણે માત્રને માત્ર ‘નોબત’ના તાલે જ ઈશ્વર વિવાહ સંપન્ન થાય છે. એટલું જ નહીં આ મહાકાવ્યનું ચાર-ચાર વખત ગાન કરવામાં આવે છે અને રાત્રે શરૂ થયેલા આ ઈશ્વર વિવાહ વહેલી સવાર સુધી નોન સ્ટોપ સતત સાડા ત્રણ કલાક જેટલા સમય ચાલે છે.
આસો માસની નવરાત્રીના સાતમા નોરતે ઈશ્વર વિવાહ પૂર્ણ થયા પછી દશેરાના વહેલી સવારે કનકાઈ માતાજીના છંદ અને સ્તુતિ સાથે કાર્યક્રમ પૂર્ણ થાય છે. છોટીકાશી ગણાતા જામનગરમાં જેમ શિવાલયો જગપ્રસિદ્ધ છે તેમ જલાની જારની ગરબીમાં લેવાતા ઈશ્વર વિવાહના કાર્યક્રમે પણ જામનગરને અનેરૂ ધાર્મિક ગૌરવ અપાવ્યું છે. જેને નિહાળવા દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે.