અમદાવાદ: રાજ્યમાં હજુ 24 કલાક કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. અમદાવાદના દક્ષિણ ભાગમાં વરસાદની સંભાવના છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં હળવો વરસાદ થઈ શકે છે. ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ભરૂચ, નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી છે. બીજી બાજુ, ડીપ ડિપ્રેશન સર્જવાને કારણે માછીમારોને સતર્ક કરાયા છે. બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાની સાથે ગીર સોમનાથમાં દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે અહીં અસર જોવા મળી છે. જેના પગલે વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. આગાહીને પગલે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં માછીમારોને સાવચેત રહેવા સૂચન અપાયું છે. દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. જ્યારે ગઈકાલે તાલાલા વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. માવઠાને પગલે ખેડૂતોના પાકોને નુકસાનની આશંકા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનને કારણે પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ડીપ્રેશનના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે સાવચેતીના ભાગરુપે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. જોકે, અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનની હાલમાં પોરબંદરના દરિયામાં કે વાતાવરણમાં કોઈ અસર જોવા મળી નથી. બીજી તરફ વાતાવરણ પણ હાલ સામાન્ય જોવા મળી રહ્યું છે.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયુ વાતાવરણમાં વરસાદી માહોલ છવાઈ રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટીના ગામડાઓમાં દિવસ દરમિયાન વાદળોએ ઘેરાયેલા રહેતા શીત લહેર વ્યાપી જવા પામી હતી.