પ્રણવ પટેલ, અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)પ્રભારી તરીકે નવ નિયુક્ત ડૉ રઘુ શર્મા (Gujarat Congress in charge Raghu Sharma)અમદાવાદની મુલાકાત આવ્યા છે. નવા પ્રભારીનું કોંગ્રેસ દ્વારા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રઘુ શર્મા (Raghu Sharma)અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની મુલાકાત કરી હતી. તેમજ ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા. કોંગ્રેસ (Congress)કાર્યાલય ખાતે સિનિયર નેતાઓ સાથે રઘુ શર્માએ પહેલા જ દિવસે વન ટુ વન બેઠક શરૂ કરી હતી.
ગુજકાત કોંગ્રેસ પ્રભારી તરીકે નિયુક્ત થયેલા રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી ડૉ રઘુ શર્મા બે દિવસની ગુજકાત મુલાકાતે છે. કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવા માટે રઘુ શર્માને વિશેષ જવાબદારી સોપાઇ છે. રઘુ શર્માનું એરપોર્ટ પર ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ રઘુ શર્માએ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ ચરખો પણ કાંત્યો હતો. નગર દેવી ભદ્રકાળી મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ ભગવાન સમક્ષ શિશ ઝુકાવ્યા હતા. કોગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસે પણ રઘુ શર્માનું ગુજરાતની પરંપરા અંતર્ગત સ્વાગત કર્યું હતું.
આ ઉપરાત સેવાદળના કાર્યકર્તાઓએ ગાર્ડ ઓફ ઓનર કર્યું હતું. રઘુ શર્માએ ગુજરાત પ્રવાસ દરમ્યાન ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે હું રાજસ્થાનમાં આરોગ્ય મંત્રી છું જેથી રાજસ્થાન પ્રજા સુરક્ષિત છે જ્યારે અહીં મુખ્યમંત્રી સહિત આખા મંત્રી મંડળને હાંકી કઢાઇ છે. તે બતાવે છે કે તેઓ કોરોનામાં કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા છે. ભાજપ માત્ર પ્રજાને નહી સત્તાને પ્રેમ કરે છે.
રઘુ શર્માએ ગુજકાત કોંગ્રેસમાં સંગઠન ફેરબદલના પણ સંકેત આપ્યા હતા. બુથ કક્ષા સુધી સંગઠન મજબુત કરવા અને ભાજપની નિષ્ફળતા સામે કોંગ્રેસ હવે રસ્તા પર આંદોલન કરશે. 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનાથી ગુજકાત કોંગ્રેસનું પ્રભારી પદ ખાલી હતું. રાજીવ સાતવના નિધન બાદ કોઇ નવી નિમણૂંક કરાઇ ન હતી. કોંગ્રેસ પ્રભારી માટે 2022ની ચૂંટણી મોટો પડકાર છે. પ્રભારીએ પ્રથમ દિવસથી જ સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી ગુજરાતની કામગીરી શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે ડો રઘુ શર્મા વર્તમાન રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. અજમેર જિલ્લામાં કેકરી વિધાનસભાથી ધારાસભ્ય છે. પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ખુબ નજીક ગણાય છે.