મિતેષ ભાટિયા, મહીસાગર : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ માસનો બાળક ધૈર્યરાજ ગંભીર બીમારીનો શિકાર બન્યો છે.જેની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. તેની મદદે લોકો આવે તેવા હેતુથી ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મુહિમ ઉઠાવવામાં આવી હતી અને સતત અહેવાલ બતાવવામાં આવ્યો હતો. જેથી ગુજરાતના ખૂણે ખૂણે વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચાડવામાં ન્યૂઝ18 ગુજરાતી અગ્રેસર રહ્યું છે. આ કારણે આજે ધૈર્યરાજના ખાતામાં ઓનલાઇન 10 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ લોકો દ્વારા દાન પેટે આપવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના યુવાનો દ્વારા મહાશિવરાત્રીના પર્વથી લઈ આજ દિન સુધી સ્વ ખર્ચે ધૈર્યરાજનું બેનર તેમજ દાન પેટી બનાવી જિલ્લાના છ તાલુકાઓમાં તેમજ ગુજરાત ભરમાં આવેલ મહાદેવના મંદિર, બસ સ્ટેશન, દુકાનોમાં ધૈર્યરાજ માટે દાન ઉઘરાવવામાં આવી રહ્યું છે. ધૈર્યરાજને વધુમાં વધુ મદદ મળી રહે અને જલ્દી ધૈર્યરાજ રોગ મુક્ત થાય તેવી આશા સાથે યુવાનો ફંડ એકઠું કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ સતત ધૈર્યરાજનો અહેવાલ બતાવ્યો છે તે બદલ યુવાનોઓ ન્યૂઝ 18 ગુજરાતીનો દિલથી આભાર માન્યો છે.
મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ દેવેન્દ્ર સિંહ જાડેજાના જણાવ્યા અનુસાર હાલ સુધીમાં ધૈર્યરાજ માટે શહેરમાં 16 લાખનું અનુદાન એકત્ર થઈ ગયું છે. આ મદદમાં ફક્ત કરણી સેના કે ક્ષત્રિય સમાજ જ નહીં મોરબીના અન્ય સમાજના આગેવાનો અને નાનાં સામાન્ય સામાજીક આગેવાનો પણ આગળ આવ્યા છે. જેમાં યુવા સામાજીક કાર્યકર અને તાજેતરમાં જ જેતપર જીલ્લા પંચાયત પરથી જીતેલા સદસ્ય અજયભાઈ લોરીયાએ પણ આર્થિક દાન આપ્યું છે.