દિનેશ સોલંકી, ગીર સોમનાથ: દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે અને વડાપ્રધાનની દૂરદ્રષ્ટિ સાથે સોમનાથ આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બન્યું છે. ત્યારે આ જ આધુનિકીકરણમાં ઉમેરો કરતા હવે સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર આઈઆરએમ એનર્જી દ્વારા બે પ્રસાદ રસોડા અને નિ:શુલ્ક ભોજનાલયમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે.
જેનું ઉદ્ઘાટન સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને આઈઆરએમ એનર્જીના સીઈઓ કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જેમાં આઈઆરએમ ગેસ વિતરણ કંપનીએ ટ્રસ્ટના રસોડામાં પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાય કરવાનું શરૂ કર્યુ છે. બે પ્રસાદ બનાવવાના રસોડા તેમજ જ્યાં યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છે તે ભોજનાલયમાં પર્યાવરણ અનુકૂળ અને સુરક્ષિત ગેસ પુરવઠાની જાહેર સેવાઓ દ્વારા હજારો યાત્રીઓને જોડવામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે.