દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: ચોમાસા (Monsoon 2022) પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા (Irrigation facility) હોવાના કારણે ચોમાસા પહેલા મગફળીનું વાવેતર (Groundnut crop) થયું છે. સારા ચોમાસાનો વરતારો તથા આ વિસ્તારની નદીઓ તેમજ કૂવાઓમાં પાણીનાં સાજા તળને લઈને ખેડૂતોએ આગોતરૂ વાવેતર શરૂ કરી દીધું છે.
ગીર વિસ્તારનાં મોટાભાગોમાં પાણીનું સુખ હોવાને કારણે ખેડૂતો ચોમાસાના 15 દિવસ પહેલા જ મગફળીનું વાવેતર કરી દે છે. સાથે શેરડીનું પણ વાવેતર હોય છે. આથી શરૂઆતી એક કે બે પાણી પાયા બાદ વરસાદનું આગમન થતા મગફળીનો ઉતારો ખૂબ સારો આવે છે. તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. જોકે, શરૂઆતી બિયારણ થોડું મોંઘું જરૂર પડે છે પરંતુ સરવાળે ખૂબ મોટો ફાયદો થાય છે.
ગીર વિસ્તારમાં સારા પાણીને કારણે અને ડેમોમાં સચવાયેલા પાણીને નદીમાં છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને મગફળીના આગોતરા વાવેતરમાં ખૂબ મોટો ફાયદો થાય છે. આગોતરા વાવેતર બાદ એક કે બે પાણી પાયા બાદ મગફળીનો છોડ ઊગી નીકળે છે. જેને ચોમાસું વરસાદને કારણે પોષણ મળે છે. આજ કારણ છે કે મગફળીમાં ઉતારો ખૂબ સારો આવે છે.
આગોતરા વાવેતરથી એક ફાયદો એવો પણ થાય છે કે મગફળી તૈયાર થયા બાદ શરૂઆતી ભાવ પણ સારા મળે છે. પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોની કઠણાઈ બેસી જાય છે. મગફળીના વાવેતર બાદ દર 15 દિવસે પાણી આપવું પડે. જોકે કોડીનાર, વેરાવળ સહિતના ગીર વિસ્તારનાં કૂવાઓમાં પણ પાણી હોવાને કારણે ચોમાસું 20 દિવસ મોડું થાય તો પણ વાંધો આવતો નથી.