ખરા અર્થમાં એક નેતા એ છે જે સૌને સાથે લઈને આગળ વધે, લોકો તેમની પાછળ અને સાથે ચાલે. નેતા એને કહેવાય જે કોઈ મોટી વાત કહી દે તો તેના પર સમર્થકોની સંખ્યા વધે, વિરોધીઓની નહીં. પરંતુ શું ભારતીય ઇતિહાસ અને પોતાના તત્કાલીન સમયમાં ‘નેતાજી’નું બિરુદ મેળવનારા સુભાષ ચંદ્ર બોઝ સાથે એવું હતું? અથવા માત્ર થોડા સમર્થકોને કારણે આઝાદ હિન્દ ફોજ (Azad Hind Fauj)નું નેતૃત્વ કરી રહેલા નેતા બસ સંજોગોને લીધે જ નેતાજી કહેવાયા. આ પ્રશ્નોના જવાબ નેતાજીના જીવન પરથી મળે છે. 23 જાન્યુઆરીએ તેમની જયંતિ પર ઇતિહાસના આ પાનાં ખોલવાનો યોગ્ય અવસર છે. (ફોટો: Wikimedia Commons)
સુભાષ ચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના (Odisha) કટક શહેરમાં 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો. તેઓ સમૃદ્ધ હિંદુ બંગાળી પરિવારમાં પિતા જાનકીનાથ બોઝ અને માતા પ્રભાવતીનું નવમું સંતાન હતા. બાળપણથી જ સુભાષ ચંદ્ર બોઝ ભણવામાં હોશિયાર હોવા ઉપરાંત દેશભક્તિની ભાવનાથી તરબોળ હતા. બાળપણથી જ તેઓ દ્રઢ ઇચ્છાશક્તિ ધરાવતા હતા અને ઇન્ટરની પરીક્ષા પહેલા તેઓ સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda)નું સમગ્ર સાહિત્ય અને આનંદ મઠ વાંચી ચૂક્યા હતા. (ફોટો: Wikimedia Commons)
પિતાનું મન રાખવા માટે સુભાષ ચંદ્ર બોઝે આઇસીએસ પરીક્ષા આપીને ઇંગ્લેન્ડ જવાનો નિર્ણય કર્યો અને તેમણે પરીક્ષા સફળતાપૂર્વક પાર પણ કરી લીધી, પરંતુ તેમનું મન દેશસેવા કરવા ઇચ્છતું હતું અને પરિવારનો વિરોધ છતાં તેમણે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા માટે આઇસીએસની નોકરી છોડી દીધી અને ઇંગ્લેન્ડથી સ્વદેશ પરત ફર્યા. (ફોટો: Wikimedia Commons)
એ પછી સુભાષ ચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થઈને દેશબંધુ ચિતરંજન દાસ (Chittaranjan Das) સાથે કામ કરવા લાગ્યા, જેની સલાહ તેમને ગાંધીજીએ (Gandhiji) પણ આપી હતી. દાસ બાબૂ અને સુભાષની સ્વરાજ પાર્ટીએ કલકત્તા મહાનગરપાલિકાની ચૂંટણી જીતી અને બંનેએ કલકત્તા માટે ખૂબ કામ કર્યું. આ દરમ્યાન એક ક્રાંતિકારી ગોપીનાથ સાહાને ફાંસી થવા પર સુભાષે તેમનું શબ અંતિમ સંસ્કાર માટે માંગી લીધું. અંગ્રેજોએ સુભાષચંદ્ર બોઝને પણ ક્રાંતિકારી સમજીને તેમની ધરપકડ કરી લીધી. જેલમાં જ સુભાષચંદ્ર બોઝને દાસ બાબૂના નિધનના સમાચાર મળ્યા. સુભાષ એકલા થઈ ગયા. જેલમાં તેમની તબિયત બગડવા લાગી. તેઓ ટીબીનો ભોગ બન્યા. એ પછી તેમની પરિસ્થિતિ જોઈને તેમને મુક્ત કરવામાં આવ્યા. (ફોટો: Wikimedia Commons)
1928માં કોંગ્રેસ (Congress)ના કોલકાતા અધિવેશન દરમિયાન સુભાષ ચંદ્ર બોઝ કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે જોડાયા અને નેહરુ સાથે કામ કર્યું. બંને તે સમયે પૂર્ણ સ્વરાજની તરફેણમાં હતા, જેના માટે ગાંધીજી તૈયાર ન હતા. 1930માં સુભાષની ફરી કોલકાતામાં ધરપકડ કરવામાં આવી અને છૂટી ગયા. આ પછી જ્યારે 1932માં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી, ત્યારે તેમની તબિયત ફરીથી બગડી ગઈ. આ વખતે અંગ્રેજોએ તેમને છોડવા માટે દેશ છોડવાની શરત મૂકી. આ વખતે ડૉક્ટરની સલાહ પર સુભાષ યુરોપ જવા તૈયાર થયા. યુરોપમાં પણ સુભાષ આઝાદી માટે કામ કરતા રહ્યા. તેઓ 1934માં તેમના પિતાના મૃત્યુ પહેલા તેમને જોવા માટે ભારત આવ્યા હતા, પરંતુ તે પહેલા તેમના પિતાનું અવસાન થયું. તેઓ કોલકાતા પહોંચ્યા ત્યારે ફરીથી તેમની ધરપકડ થઈ અને થોડા દિવસો પછી યુરોપ પાછા મોકલવામાં આવ્યા હતા. (ફોટો: Wikimedia Commons)
1938માં કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં ગાંધીજીએ પોતે સુભાષ ચંદ્ર બોઝને અધ્યક્ષ પદ માટે પસંદ કર્યા, સુભાષનું ભાષણ ખૂબ જ પ્રભાવશાળી હતું. તેમણે આયોજન પંચની પણ સ્થાપના કરી. પરંતુ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તે પહેલાં જ સુભાષની કાર્યશૈલી ગાંધીજીને ખટકવા લાગી અને બીજા વિશ્વયુદ્ધને તક તરીકે જોનારા સુભાષ 1938માં અધ્યક્ષની ચૂંટણી જીત્યા બાદ પણ કોંગ્રેસમાં ધીમે ધીમે હાંસિયામાં ધકેલાઈ ગયા. ફોરવર્ડ બ્લોકની રચના પછી પણ તેઓ એકલા જ રહ્યા. (ફોટો: Wikimedia Commons)
પરંતુ સુભાષ ચંદ્ર બોઝે અહીં હાર ન માની અને કોંગ્રેસથી અલગ થયા વિના પોતાના માટે રસ્તો બનાવવાનું નક્કી કર્યું. ટૂંક સમયમાં સુભાષબાબુની ધરપકડ કરવામાં આવી, પરંતુ તેમણે હાર ન માની અને જેલમાં આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા. આ કારણે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને નજરકેદ કરવામાં આવ્યા. ઘરે આવ્યા પછી તેઓ અંગ્રેજોને ચકમો આપીને પહેલા પેશાવર ગયા, પછી કાબુલ થઈને રશિયા અને છેલ્લે જર્મની પહોંચી ગયા. પરંતુ હિટલરને મળ્યા પછી પણ સુભાષ નિરાશ ન થયા અને પૂર્વમાં સિંગાપોર જવાનું નક્કી કર્યું. જ્યાં જઈને તેમણે આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી. (ફોટો: Wikimedia Commons)