એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આમ તો બધા કહે છે કે, એક વખત જો ફિલ્મો અને ટીવીની દુનિયાનો રંગ લાગ્યો તો પછી તે ઉતરવો મુશ્કેલ છે. પણ કોરોના (Corona) અને લોકડાઉનમાં (Lockdown) ઘણાં એક્ટર્સે ઇન્ડસ્ટ્રી છોડીને અન્ય કામ શોધી લીધુ છે. ત્યારે ટીવી એક્ટર આશીષ શર્મા (Ashish Sharma)પણ ટીવીની દુનીયા છોડીને ખેતીવાડીમાં જીવ પોરવી લીધો છે. તે હાલમાં તેનાં રાજસ્થાનમાં આવેલાં ગામડે છે. અહીં તે ખેતીનું કામ કરે છે અને ગાયો દોહે છે તેમની સાથે સમય વિતાવે છે.
'સિયા કે રામ', 'રંગરસિયા', 'પૃથ્વી વલ્લભ' જેવી સિરિયલમાં કામ કરનાર આશીષ શર્મા પોતાને લકી માને છે. તે સ્વીકારે છે કે કોરોનાને કારણે હવે તે જીવનની સાચી મજા માણી રહ્યો છે આશીષ હવે સંપૂર્ણ ધ્યાન ખેતી વાડી પર આપી રહ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર ખેતી કરતાં અનેક વીડિયો તથા ફોટો શેર કર્યા છે.
આશીષ શર્માએ (Ashish Sharma) એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે લાંબા સમયથી ઓર્ગેનિક ફાર્મિંગ (Organic Farming) કરવાનું વિચારતો હતો અને હવે તેને તક મળી છે. ગામમાં તેની પાસે 40 એકર જમીન તથા 40 ગાય છે. તે હેલ્ધી ફૂડ પ્રમોટ કરવા માગે છે. તે ઈચ્છે છે કે લોકો નેચરલ રીતે જીવન જીવવા પ્રત્યે જાગૃત થાય અને મધર નેચરની નિકટ જાય.
આશીષ શર્માએ કહ્યું હતું કે કોરોનામાં ખેતરમાં વાવણી કરતા, ગાયોને દોહવવાનું કામ કર્યું હતું. આ ઉપરાંત તે ટ્રેક્ટર ચલાવતા પણ શીખી ગયો છે.એક્ટર માને છે કે આપણે જીવનમાં અસલી ખુશીઓ ભૂલી ગયા છીએ, પરંતુ કોરોનાએ આ બધું જ શીખવી દીધું. તેને અહેસાસ થયો કે જીવનની નાની નાની ખુશીઓ તેને વધુ સુંદર બનાવી દે છે. તે પાછો પોતાના વતન તરફ આવ્યો અને ખેડૂત બનવાનો નિર્ણય લીધો. તેના પૂર્વજો સદીઓથી ખેતી સાથે જોડાયેલા છે, પરંતુ તે મુંબઈ આવી ગયો હતો. હવે તેણે ગામ પરત ફરીને ખેતી કરવાનું નક્કી કર્યું છે.