Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ખૂબ જ પસંદ આવે છે. છેલ્લા 14 વર્ષથી આ શો સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.ભારત અને વિદેશમાં વસતા ભારતીય સમુદાયના હાસ્યનો ડેઈલી ડોઝ અને લોકો માટે હાસ્યની ઓળખ બની ગયેલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ચમક હવે ધીરે-ધીરે ફિક્કી પડી રહી છે. ચમક ઘટવાનું કારણ નવા મુદ્દાઓના અભાવની સાથે સ્ટાર કાસ્ટનો બદલાવ પણ છે. શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. લોકો શોના પાત્રોને તેમના વાસ્તવિક નામથી નહીં પરંતુ તેમના પાત્રોથી ઓળખે છે. આ શોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા છે. શો સંચાલકોને કેટલાક જૂના કલાકારોના સ્થાને નવા કલાકાર મળ્યા છે, જ્યારે અમૂલ આજ સુધી મળી શક્યા નથી. હવે આ શોને અલવિદા કહેનારાઓમાં વધુ એક નામ જોડાયું છે, જેના પછી ચાહકોમાં થોડી વધુ નિરાશા વ્યાપી છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મુખ્ય પાત્ર એટલે કે તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ પણ હવે આ શોને અલવિદા કહી દીધું છે. છેલ્લા 1 મહિનાથી શૈલેષે આ શો માટે શૂટિંગ કર્યું નથી અને હવે એવા અહેવાલ છે કે, શૈલેષે શોમાં પાછા નહીં ફરવાનું મન બનાવી લીધું છે. જોકે, તેઓ એક્ટિંગથી સન્યાસ નથી લઈ રહ્યાં. તેઓ ટૂંક સમયમાં જ એક નવા શોમાં જોવા મળવાના છે, જેનું શૂટિંગ પણ તેમણે શરૂ કરી દીધું છે. અહી શોને અલવિદા કહેનાર શૈલેષ લોઢા ઉપરાંત અન્ય કલાકારો અંગે જાણકારી આપવામાં આવી છે.