મુંબઈ: ભારતમાં 80નો દશક સંગીત જગત માટે ખૂબ જ ખાસ રહ્યો છે. એ જ દાયકામાં, કહેવાતી કેસેટ ક્રાંતિએ સંગીતનો વ્યાપ શહેરોથી લઈને ભારતના ગામડાઓ સુધી વિસ્તાર્યો હતો. આ પછી કેટલાક સ્ટાર્સ આગળ આવ્યા જેમણે સંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું અને તેમના ગીતો શહેરોથી ગામડાઓ અને શેરીઓથી પાર્ટીઓમાં ગુંજી ઉઠ્યા હતા. આવા જ એક સ્ટાર છે અતાઉલ્લાહ ખાન...
વર્ષ 1992માં, સંગીતના કોહિનૂરને ઓળખનાર ઝવેરી ગુલશન કુમારની નજર પાકિસ્તાની ગાયક અતાઉલ્લાહ ખાન પર પડી હતી. ગુલશન કુમારે અતાઉલ્લાહ ખાન સાથે 'બેદર્દી સે પ્યાર કા' આલ્બમ બનાવ્યો હતો. આ આલ્બમ ભારતમાં સુપરહિટ રહ્યો હતો.<br />પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલી વિસ્તારમાં 19 ઓગસ્ટ 1951ના રોજ જન્મેલા અતાઉલ્લાહ ખાન તેમના દર્દભર્યા ગીતો માટે જાણીતા હતા. અતાઉલ્લાહ ખાન પાકિસ્તાનના ખૂબ જ પ્રખ્યાત ગાયક હતા.
તેમનો એક આલ્બમ ભારતમાં પણ હિટ બન્યો હતો. કેસેટ-ટેપ દેશના ગામડાઓ અને વિસ્તારોમાં પહોંચી ગઈ હતી. ગુલશન કુમારે તેમના ભાઈ કિશોર કુમાર સાથે મળીને વર્ષ 1995માં ફિલ્મ 'બેવફા સનમ' બનાવી હતી. આ ફિલ્મના ગીતોએ દેશભરમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મનું ગીત 'અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા' ગાઈને સોનુ નિગમ રાતોરાત સ્ટાર બની ગયો હતો. હવે આ ફિલ્મની વાર્તા સાથે અતાઉલ્લાહ ખાનના જીવનમાં એક વળાંક આવ્યો હતો.
બન્યું એવું કે, ભારતમાં એવી વાતો ફેલાઈ ગઈ કે ફિલ્મ બેવફા સનમની વાર્તા પાકિસ્તાની ગાયક અતાઉલ્લાહ ખાનની વાસ્તવિક જીવન વાર્તા પર આધારિત છે. આ ફિલ્મની વાર્તામાં હીરો એક પ્રખ્યાત ક્રિકેટર છે, જેને ખોટા આરોપમાં જેલમાં મોકલવામાં આવે છે. જેલમાં, તેને ખબર પડે છે કે તેની ગર્લફ્રેન્ડ કોઈ બીજા સાથે લગ્ન કરવાની છે, તેથી હીરો જેલમાંથી બહાર નીકળે છે અને ગર્લફ્રેન્ડના પતિને મારી નાખે છે.