અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને (144th Rathyatra) રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. એટલે કે ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો વગરની રથયાત્રાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે. ત્યારે મંદિર તરફથી પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમાસના (Aamas) દિવસે એટલે કે શનિવારે આજે જમાલપુર સ્થિત મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ (Netrotsav vidhi) કરવામાં આવી છે. આ વિધિમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે. પરંતુ તમને ખબર છે કે, મોસાળમાંથી આવ્યા બાદ ભગવાનની આંખો પર પાટા શું કામ બાંધવામાં આવે છે?
એક માન્યતા મુજબ, રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાના દિવસથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે 15 દિવસ પોતાના મોસાળમાં જાય છે. જયારે અમાસના દિવસે નિજ મંદિરે સવારે પરત ફરે છે. ભગવાનની મોસાળમાં ઘણાં જ દિલથી આગતા સ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક ભોજન, મિષ્ટાનો, કેરી અને જાંબુ આરોગ્યા હોય છે. જેના લીધે માન્યતા છે કે, તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી અમાસના દિવસે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. (તસવીર- વિભુ પટેલ)
આ દિવસે લોકોને ભગવાનના આંખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે. જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આંખો પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી સમયે પાટા ખોલવામાં આવે છે. તેની બાદ મંગળા આરતી કરવામાં આવે છે. આ અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ‘શનિવારે સવારના આઠ વાગ્યે નેત્રોત્સવ વિધિ થશે. અષાઢી બીજના દિવસે સવારના સાડા પાંચ વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે.’ મંદિરના ટ્રસ્ટી અને મહંતે શ્રદ્ધાળુઓને ઘરે રહીને જ ભગવાનના દર્શનની અપીલ પણ કરી છે.’(તસવીર- વિભુ પટેલ)