નવી દિલ્હી : દેશમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવવા માટે ઇન્કમ ટેક્સ વિભાગે (Income Tax Department) ફેસલેસ ઈ-અસેસમેન્ટ (faceless e-assessment) સેવા શરૂ કરી છે. સરળ શબ્દોમાં કહીએ તો પહેલા અવારનવાર આરોપ લગાવવામાં આવતા હતા કે આરોપી ઇન્કમ ટેક્સ ઓફિસમાંથી કોઈ પણ પ્રકારની નોટિસ મળ્યા પછી સંબંધિત અધિકારી કે કર્મચારી સાથે ગોઠવણ કરી લેતો હતો. હવે આવું નહીં થાય. કારણ કે આ સિસ્ટમ સાવ બદલાઈ ચુકી છે. આ યોજનાના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી, મુંબઈ સહિત અમુક શહેરમાં પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગના ખૂબ સારા પરિણામ મળ્યા છે.
ફેસલેસ ઈ-અસેસમેન્ટ (faceless e-assessment) સેવા : પીએમ મોદીએ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી faceless e-assessment સેવા શરૂ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. ફેસલેસ અસેસમેન્ટ એક એવો પ્રકાર છે જેમાં એક સૉફ્ટવેરના માધ્યમથી કામ કરવામાં આવે છે. આ પ્રકારે કોઈએ ઇન્કમ ટેક્સ ઓફિસ કે કોઈ અધિકારી સમક્ષ હાજર થવાની જરૂર નહીં રહે. કોઈ પણ વ્યક્તિને ઇન્કમ ટેક્સ સ્કૂટિની અસેસમેન્ટ અંગેની નોટિસ બાદ ભાગદોડ નહીં કરવી પડે અથવા કોઈ સીએ પાસે જવાની જરૂર નહીં રહે. આનાથી ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવાની સાથે સાથે ન્યાય મળવાની ગેરંટી પણ મળશે.
નોંધનીય છે કે ગત વર્ષે જ નેશનલ ઈ અસેસમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિની સ્ક્રૂટિની માટે પસંદગી કરવામાં આવશે. એટલે કે વ્યક્તિના નામ અને સરનામા અંગેની જાણકારી સંબંધિત અધિકારીને નતી હોતી. દા.ત. જો કેસ દિલ્હીનો હોય તો તપાસ માટે દિલ્હી, હૈદરાબાદ, હરિયાણા કે કોઈ અન્ય શહેરમાં એ કેસને મોકલી દેવાશે. તેમણે તમામ દસ્તાવેજ ઑનલાઇન આપવા પડશે.