નોકરીયાતો માટે ખુશખબરી આવી છે. ભવિષ્ય નિધિ ખાતા પર વધારે વ્યાજ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર અનુસાર, નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર 8.65 ટકા વ્યાજ મળશે. તેને લઈ નાણા મંત્રાલય તૈયાર થઈ ગયું છે. શ્રમ મંત્રાલય અને નાણા મંત્રાલય વચ્ચે વ્યાજ દરને લઈ સહમતિ બની ગઈ છે. નાણા મંત્રાલય વ્યાજ દરને ટુંક સમયમાં નોટિફાઈ કરી દેશે. જેનો સીધો ફાયદો 6 કરોડ ખાતાધરકોને થશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનાથી પીએફ ખાતાના વ્યાજ દરને લઈ સહમતી બની શકતી ન હતી. આ પહેલા નાણાકીય વર્ષ 2017-18માં વ્યાજ દર 8.55 ટકા હતું. મતલબ સ્પષ્ટ છે કે, વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો થશે.
નાણા મંત્રાલયની નોટિફિકેશનથી શું થશે - પીએફના વ્યાજ દરોને લઈ લાંબા સમયથી નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલયમાં સહમતી બની શકી ન હતી. ફિક્કીના કાર્યક્રમમાં ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટરને કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, 8.65 ટકાના દરથી પીએફ ખાતાધરકોને વ્યાજ મળશે. તેને લઈ ટુંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.