અમદાવાદ: ઝડપથી બદલાતા સમય સાથે, એક વસ્તુ છે જે હંમેશા બદલાતી રહે છે, તે છે તમારા ખિસ્સામાં રૂપિયાનો ડિઝાઈન. હાલમાં જ 2000ની નોટ RBI દ્વારા પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે, આ પહેલા પણ નોટબંધી વખતે 500 અને 1000ની નોટને બદલે નવી 500ની નોટ અને 2000ની નોટ આપણી સામે આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રૂપિયાને (Indian Rupee) તેનું નામ કોણે આપ્યું અને આપણા દેશમાં ચાલતી કરન્સી કેવી રીતે શરૂ થઈ. જો તમે આ બધું નથી જાણતા તો રૂપિયાનું રહસ્ય જાણવા માટે આ ખાસ અહેવાલ જરૂરથી વાંચો...
જો આપણે આપણા દેશની વાત કરીએ તો ઈતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે, આપણે એ પ્રાચીન સભ્યતાનો એક ભાગ છીએ, જ્યાં રૂપિયાનો સંબંધ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીના સમયથી જોવા મળે છે. એવું કહેવાય છે કે, રૂપિયો સંસ્કૃત શબ્દ "રૂપ્યકમ" પરથી ઉતરી આવ્યો છે. જ્યારે શબ્દ સ્વરૂપમાં, તે રૂપા શબ્દ સાથે સંકળાયેલો છે જેનો અર્થ ચાંદી થાય છે.
ઉલ્લેખનીય છે કે, 1540માં હુમાયુને (Humayun) હરાવીને સૂરી સામ્રાજ્યની સ્થાપના કરનાર ન્યાયી અને પ્રામાણિક શાસક શેર શાહ સૂરી (Sher Shah Suri)એ 1540-1545ની વચ્ચે પહેલીવાર ભારતીય ચલણ માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના પાંચ વર્ષના શાસન દરમિયાન, શેર શાહે નવા શહેરી અને લશ્કરી વહીવટની સ્થાપના કરી હતી અને આ દરમિયાન પ્રથમ રૂપિયો જાહેર કર્યો હતો.
શરૂઆતમાં જે મૂળ રૂપિયાનો ઉપયોગ થતો હતો તે ચાંદીનો હતો, જેના કારણે તેનું નામ રૂપિયા પડ્યું હતું. પાછળથી, મુઘલ, મરાઠા અને બ્રિટિશ સામ્રાજ્યોમાં પણ રૂપિયાનો ઉપયોગ ચાલુ રહ્યો હતો. ભારતીય રૂપિયો વીસમી સદીમાં ગલ્ફ દેશો અને આરબ દેશોમાં ચલણમાં હતો, પાછળથી RBIની રચના પછી તેને ગલ્ફ રૂપિયા તરીકે અલગ કરવામાં આવ્યો હતો.