નવી દિલ્હી: દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)ના નિયમમાં પહેલી જાન્યુઆરી 2022થી અનેક ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફારમાં ઈ-કોમર્સ વેપારીઓ પર ટેક્સની જવાબદારી પણ સામેલ છે. આગામી વર્ષથી ઈ-કોમર્સ સ્ટાર્ટઅપે પેસેન્જર ટ્રાન્સપોર્ટ (Passenger transport) અને રેસ્ટોરન્ટ સર્વિસ (Restaurant services) પર ટેક્સ એટલે કે જીએસટી ચૂકવવો પડશે. જીએસટી કાઉન્સિલે ફૂટવેર (Footwear) અને ટેક્સટાઇલ સેક્ટરમાં ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં પણ અમુક ફેરફાર કર્યાં છે. આ ફેરફાર 1 જાન્યુઆરી 2022થી લાગૂ થશે.
સ્વિગી-ઝોમાટોએ ભરવો પડશે ટેક્સ: 1 જાન્યુઆરીથી સ્વિગી અને ઝોમાટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ તરફથી આપવામાં આવતી સેવાઓ પર જીએસટી લાગસે. હવે તેમણે આવી સેવા માટે સરકામાં ટેક્સ જમા કરાવવો પડશે. જોકે, આનો ભાર ગ્રાહકો પર નહીં આવે. કારણ કે જે ટેક્સ રેસ્ટોરન્ટ લઈ રહી હતી તે હવે તેના બદલે ઝોમાટો કે સ્વિગી દેશે. એટલે કે ગ્રાહકોએ વધારાની કોઈ રકમ ચૂકવવી નહીં પડે. આવું કરવાનું કારણ એ છે કે છેલ્લા બે વર્ષમાં ફૂડ ડિલિવરી કરતા એપ્સ 2000 કરોડનું ખરાબ પ્રદર્શન બતાવી ચૂક્યા છે. સરકારનું કહેવું છે કે આવું કરવાથી ટેક્સ કલેક્શન વધી શકે છે.
...તો બાયરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી જશે: જીએસટી અંગેજાહેર નોટિફિકેશન પ્રમાણે જો સેલર એટલે કે વેપારી પોતાના માસિક રિટર્નમાં સેલની વિગત નહીં દાખલ કરે તો બાયર્સ એટલે કે ખીદનારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી જશે. બીજું કે GSTR1 અને 3Bમાં કોઈ ગરબડ સામે આવી તો નોટિસ આપ્યા વગર જ અધિકારીને રિકવરી કરવાનો અધિકાર મળી જશે. સાથે જ જો કોઈ વેપારીએ ટેક્સ અધિકારીના ખોટા અસેસમેન્ટને પડકારવું હોય તો તેણે 25% પેનલ્ટી રકમ વિભાગમાં જમા કરવી પડશે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કાયદો કુદરતના ન્યાય વિરુદ્ધ છે.
નાના વેપારીઓની મુશ્કેલી વધશે : નવા કાયદાથી ત્રિમાસિક રિટર્ન ભરતા નાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે દર મહિને રિટર્ન ભરવું જરૂરી બનશે. જ્યારે રિટર્નમાં એક વખત ગરબડ થઈ તો તેને સુધારવાનો મોકો પણ નહીં મળશે. આથી વેપારીઓએ સરકાર અને જીએસટી કાઉન્સિલના આ નિયમો પર ફરીથી વિચાર કરવાની અપીલ કરી છે.
જીએસટી અંગે નવી જાહેરાત : સીબીઆઈસી (Central board of indirect taxes and customs) તરફથી જીએસટી રિફંડ, પેનલ્ટી, ટેક્સ જમા કરવા સંબંધી નિયમો અંગે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નિયમ પહેલી જાન્યુઆરી 2022થી લાગૂ થશે. જે પ્રમાણે જે વેપારીઓએ જીએસટી નંબરને આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક નથી કર્યો તેમના તરફથી ક્લેમ કરવામાં આવેલા રિફંડની કાર્યવાહી રોકી દેવામાં આવશે. જો કોઈ વેપારીનું કોઈ કારણે રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવે છે તો તે ફરીથી શરૂ કરવા માટે અરજી પણ નહીં કરી શકે. આથી જરૂરી છે કે જીએસટી નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય.
નોટિસ વગર પ્રોપર્ટી અટેચ કરી શકાશે : ટેક્સ ન ભરવા કે ઓછો ભરવા પર હાલ બેંક ખાતા કે પ્રોપર્ટીને અટેચ કરવા માટે લાંબી નોટિસ પ્રક્રિયા કરવી પડે છે. હવે આ પ્રક્રિયાને ખતમ કરી દેવામાં આવશે. પહેલા બોગસ કંપનીઓ ખૂબ બિલ કાપતી હતી તેમજ ઓછો ટેક્સ ભરીને ગાયબ થઈ જતી હતી. અનેક વખત વેપારીઓ ઓછું વેચાણ બતાવીને ઓછો ટેક્સ ભરતા હતા. હવે આવું નહીં થઈ શકે. હવે નોટિસ આપ્યા વગર જ ટેક્સ અધિકારી સંપત્તિ અટેચ કરી શકશે. હવે બોગસ બિલિંગમાં મદદ કરનાર બ્રોકર, એકાઉટન્ટ અને અન્ય વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરી શકાશે.