નવી દિલ્હીઃ કોરોના મહામારી (Coronavirus Pandemic) દરમિયાન મોટાપાયે લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. પગાર નહીં મળવાના કારણે કરોડો લોકોની સામે આજીવિકાને લઈને સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. એવામાં કેન્દ્ર સરકાર આ તમામ બેરોજગાર લોકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. જો કોઈ કોરોના કાળમાં બેરોજગાર (Unemployed) થયું છે તો તેને બેરોજગારી ભથ્થું (Unemployment Allowance) મળશે. આવો આપને જણાવીએ કે તમે આ સ્કીમનો કેવો રીતે લાભ લઈ શકશો...
આ છે શરતઃ આ પૈસા માત્ર એ જ વર્કર્સને મળશે જે ESIC સ્કીમની સાથે ઓછામાં ઓછા બે વર્ષથી જોડાયેલા છે. તેનો અર્થ છે કે માત્ર એ જ વર્કર્સને તેનો લાભ મળશે જે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2020 સુધી આ સ્કીમથી જોડાયેલા રહ્યા. આ દરમિયાન 1 ઓક્ટોબર 2019થી 31 માર્ચ 2020ની વચ્ચે ઓછામાં ઓછા 78 દિવસોનું કામકાજ જરૂરી છે.
3 મહિના સુધી મળશે અડધો પગારઃ બેરોજગાર વ્યક્તિ મહત્તમ 90 દિવસ (ત્રણ મહિના) માટે આ ભથ્થાનો ફાયદો ઉઠાવી શકે છે. તે ત્રણ મહિના માટે સરેરાશ પગારના 50 ટકા ક્લેમ કરી શકે છે. પહેલા આ મર્યાદા 25 ટકા હતી. વધુ એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા બેરોજગાર થવાના 90 દિવસ બાદ તેનો લાભ લઈ શકાતો હતો. હાલ તેને ઘટાડીને 30 દિવસ કરી દેવામાં આવ્યો છે. આ જાણકારી લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર સંતોષ ગંગવારે આપી છે.
કયા લોકોને ESIC સ્કીમનો લાભ મળે છે? - માહિતી માટે જણાવી દઈએ કે જે વર્કર્સ એક લિમિટ સુધી કમાય છે તેમના માટે ESIC સ્કીમ હોય છે. જે ફેક્ટરીમાં 10થી વધુ શ્રમિક હોય છે, ત્યાં આ સ્કીમ લાગુ થાય છે. તેમનો પગાર જો 21 હજાર સુધીનો છે તો આ સ્કીમ લાગુ થશે. ESIC હેઠળ દેશના લગભગ 3.5 કરોડ ફેમિલી યૂનિટ સામેલ છે, જેના કારણે લગભગ 13.5 કરોડ લોકોને રોકડ અને મેડિકલ લાભ મળે છે.
વર્કર્સ જાતે કરી શકે છે ક્લેમ- બોર્ડના નિર્ણય મુજબ, હવે તેના માટે વર્કર્સના ક્લેમને નિયોક્તાની તરફથી કરવાની જરૂર નહીં રહે. મીટિંગના એજન્ડા મુજબ, ક્લેમને સીધી રીતે ESICના શાખા કાર્યાલયમાં જમા કરાવી શકાય છે અને શાખા કાર્યાલય સ્તરે જ નિયોક્તા દ્વારા કલેમનું વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ વર્કર્સના ખાતામાં ક્લેમની રકમ સીધી જમા કરવામાં આવશે.