નવી દિલ્હીઃ ભારતીય ભૂ વૈજ્ઞાનિક સર્વેક્ષણ (Geological Survey of India, GSI)માં ઓડિશાના ત્રણ જિલ્લામાં સોનાના ભંડાર મળી આવ્યા છે. રાજ્યના સ્ટીલ અને માઈન્સ મિનિસ્ટર પ્રફુલ્લા મલ્લિકે (Prafulla Mallik) જણાવ્યું છે કે, દેવગઢ, ક્યોંજર અને મયૂરભંજમાં સોનાના ભંડાર મળી આવ્યા છે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો ખજાનો મળવાના સમાચાર સામે આવ્યા હતા, આ ભંડાર લગભગ 59 લાખ ટન છે. લિથિયમ દુર્લભ સંસાધનોની શ્રેણીમાં આવે છે અને પહેલા ભારતમાં નહોતો મળતો, જેના કારણે ભારત તેની આયાત પર નિર્ભર હતો.
ઢેંકનાલ ધારાસભ્ય સુધીર કુમાર સામલના પ્રશ્નનો લેખિતમાં જવાબ આપતા સ્ટીલ અને માઈન્સ મિનિસ્ટર પ્રફુલ્લા મલ્લિકે જણાવ્યું છે કે, ડાયરેક્ટોરેટ માઈન્સ એન્ડ જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું છે કે, દેવગઢ, ક્યોંજર અને મયૂરભંજમાં સોનાના ભંડાર મળી આવ્યા છે. જોકે, સોનાનો ભંડાર કેટલો છે, તે અંગે જાણકારી આપવામાં આવી નથી.
પ્રથમ સર્વેક્ષણ વર્ષ 1970 અને 1980ના દાયકામાં કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણના પરિણામ જાહેર કરવામાં આવ્યા નહોતા. GSI દ્વારા છેલ્લા બે વર્ષમાં એક નવું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતમાં સોનાની ત્રણ ખાણ છે, કર્ણાટરમાં હુટ્ટી અને ઉટી ખાણ, ઝારખંડમાં હારીબુદ્દિની ખાણ. ભારતમાં 774 ટન સોનાના વપરાશની સરખામણીએ 1.6 ટન સોનાનું ઉત્પાદન થાય છે.
કિંમતી ધાતુની વધતી જતી માંગ અને કિંમતોની વચ્ચે ભારત સોનાનું ઉત્પાદન વધારવા માંગી રહ્યું છે. ગત વર્ષે નીતિ આયોગે ભારતમાં સોનાની ખાણ શોધવા માટે વ્યાપક સંશોધન હાથ ધર્યું છે. ખાણ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં વર્તમાનમાં કુલ 70.1t (17.2Mt at 4.1g/t) ભંડાર છે. મોટાભાગે આ ભંડાર દક્ષિણ ભારતમાં છે. કુલ ભંડારમાંથી 88 ટકા ભંડાર કર્ણાટકમાં છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે છેલ્લા વર્ષના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારત ખનન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાની સાથે સાથે નિયામક સુધારાના માધ્યમથી ઉત્પાદનમાં વાર્ષિક 20 ટનની વૃદ્ધિ કરી શકે છે.