

નવી દિલ્હી: કાલથી એટલે કે પહેલી નવેમ્બરથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે. આમાંથી અમુક એવા બદલાવ છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આથી આજે અમે આ અંગે તમને જાણકારી આપી રહ્યા છીએ. આથી જો આ વસ્તુ પર તમે ધ્યાન નહીં આપો તો તમારે નુકસાન વેઠવું પડી શકે છે. આવતીકાલ એટલે કે પહેલી નવેમ્બરથી રસોઈ ગેસથી લઈને ટ્રેનના ટાઇમ ટેબલ સુધી તમામ વસ્તુઓ બદલાશે. તો જાણો તેના વિશે.


1. LPG ડિલિવરી અંગે નિયમ બદલાશે પહેલી નવેમ્બરથી LPGની ડિલિવરી અંગે નિયમ બદલાઈ જશે. પહેલી નવેમ્બરથી ઓઇલ કંપનીઓ ડિલિવરી ઑથેન્ટિકેશન (DAC) વ્યવસ્થાનો અમલ શરૂ કરશે. એટલે કે ગ્રાહકોને સિલિન્ડરની ડિલિવરી પહેલા તેમના નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP (One time Password) મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર તમારા ઘરે આવશે ત્યારે તમારે ડિલિવરી બોયને એ ઓટીપી આપવો પડશે. જો ઓટીપી સિસ્ટમ સાથે મેચ થશે તો જ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.


2. ઇન્ડેન ગેસ તરફથી બુકિંગ નંબર બદલવામાં આવ્યો જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો તો પહેલી નવેમ્બરથી તમે જૂના નંબર પરથી ગેસ સિલિન્ડર બૂક નહીં કરાવી શકો. ઇન્ડેન તરફથી તેમના ગ્રાહકોને તેમના નોંધાયેલા મોબાઇલ પર નવો બુકિંગ નંબર મોકલી આપવામાં આવ્યો છે. હવે આખા દેશમાં ઇન્ડેન ગેસના ગ્રાહકો સિલિન્ડરનું બુકિંગ કરવા માટે 7718955555 નંબર પર કૉલ અથવા એસએમએસ કરી શકે છે.


3. ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ઉલ્લેખનીય છે કે સરકારી ઓઇલ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. આ તારીખે કિંમત વધી કે ઘટી શકે છે. આથી પહેલી નવેમ્બરના રોજ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. ઓક્ટોબર મહિનામાં ઓઇલ કંપનીઓએ કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો.


4. ટ્રેનનું સમયપત્રક બદલાશે<br />ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આ મહત્ત્વના સમાચાર છે. પહેલી નવેમ્બરથી ભારતીય રેલ આખા દેશની ટ્રેનોમાં સમયપત્રકમાં ફેરફાર કરી રહી છે. પહેલી નવેમ્બરના રોજ ટ્રેનોનું નવું સમયપત્રક જાહેર થશે. જેમાં 13 હજાર પ્રવાસી અને સાત હજાર માલગાડીના ટાઇમ બદલવામાં આવશે. દેશમાં 30 રાજધાની ટ્રેનનું સમયપત્રક પર પહેલી નવેમ્બરથી બદલાશે. પહેલી નવેમ્બરથી દર બુધવારને બાદ કરતા ચંદીગઢ અને નવી દિલ્હી વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડશે.


5. SBI બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે પહેલી નવેમ્બરથી SBI અમુક મહત્ત્વના ફેરફાર કરી રહી છે. પહેલી નવેમ્બરથી એસબીઆઈના બચત ખાતા પર પહેલા કરતા ઓછું વ્યાજ મળશે. પહેલી નવેમ્બરથી જે બચત ખાતામાં એક લાખ રૂપિયા સુધીની રકમ જમા હશે તેના પર વ્યાજદર 0.25 ટકા ઘટીને 3.25 ટકા થઈ જશે. જ્યારે એક લાખથી વધારે જમા રકમ પર રેપો રેટ પ્રમાણે વ્યાજ મળશે.