મહેન્દ્ર અગ્રાવલ, બનસાકાંઠા: અલકાયદા દ્વારા આંતકી હુમલાની ધમકી અપાયા બાદ આઈ.બી. ના ઇનપુટ અહેવાલના પગલે ગુજરાત રાજ્યની સરહદો ઉપર એલર્ટ અપાયું છે. જેના પગલે ગુજરાતના મોટા યાત્રધામોમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે, આ અંતર્ગત યાત્રાધામ અંબાજીમાં પણ જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. યાત્રાધામ અંબાજી ગુજરાત નહીં પણ દેશભરનું માનીતું શક્તિપીઠ છે. જ્યાં આ ધમકીના પગલે તમામ સુરક્ષા કર્મીઓને અલર્ટ કરી દેવાયા છે.
અંબાજી મંદિરમાં સુરક્ષાકર્મીઓ દ્વારા પ્રવેશતા યાત્રિકોને તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે સાથે જ અંબાજી મંદિર પરિષરમાં મંદિરની સુરક્ષાને લઈ SRP, QRT મંદિર અલાયદા સઘન સુરક્ષા સ્ટાફ, GISF તેમજ હોમગાર્ડના જવાનો હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમના તમામ પોઇન્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા સુપરવિઝન કરી એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.
અંબાજી મંદિરમાં અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ સઘન સુરક્ષા કરી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા તમામ સ્ટાફને સ્ટેન્ડબાય રહી સતર્ક રહેવા કડક સૂચનાઓ કરવામાં આવી છે. આટલુંજ નહીં અંબાજી મંદિર પરિષરમાં હાઇ ડેફિનવાળા 100 જેટલા CCTV કેમરા કાર્યરત કરાયા છે. તેમનું પણ પોલીસ દ્વારા સતર્ક મોનીટરીંગ કરવાં આવી રહ્યું છે.