Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીના ડુંગરાળ વિસ્તારમાં વસતો આદિવાસી સમાજ અન્ય સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનાથી ટ્રાયબલ વિસ્તારમાં ખુબ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે.
“આદિજાતિ વિસ્તારમાં સરસ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, બાળકોને ભણવા માટે શાળાના ઓરડાઓ, આરોગ્યની સુવિધાઓ સહિત પ્રવાસનની સાથે રોજગારીની તકો વધે તે દિશામાં આ સરકારે કામ કર્યુ છે. ભૂતકાળમાં સાંજે જમવાના સમયે વીજળીના ફાંફા હતા, આજે સમગ્ર રાજ્યમાં અંતરીયાળ ગામડાઓ સુધી ૨૪ કલાક વીજળી મળે છે જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં આમૂલ પરિવર્તન આવ્યું છે” અર્જુનસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આદિવાસીઓનો સર્વાગી વિકાસ થયો છે. દેશમાં આદિવાસી સમાજની ૧૫ ટકા વસતી છે. આઝાદી પછી દેશના સર્વોચ્ચ સ્થાને રાષ્ટ્રપતિ તરીકે આદિજાતિ સમાજની શિક્ષિત મહિલા શ્રીમતી દ્રોપદી મુર્મુ બિરાજમાન થતાં આજે સમગ્ર દેશના આદિવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે. રાષ્ટ્રપતિના જીવનમાંથી પ્રેરણા મેળવી બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવવા મંત્રીએ અપીલ કરી હતી.
મંત્રીઅર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજયભરના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણની વ્યાપક સુવિધાઓ હોવાથી આદિજાતિ બાળકો સારૂ શિક્ષણ મેળવી રહ્યા છે. પરિણામે આવતીકાલ ઉજ્જવળ અને સુખ-સમૃધ્ધિભરી બનવાની છે. તેમણે કહ્યું કે, આદિવાસી લોકોના સર્વાગી વિકાસ અને સુખાકારી માટે અમારી સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે.
આ પ્રસંગે કલેકટર આનંદ પટેલ, જિલ્લાં વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, તાલુકા પંચાયત પ્રમુખ પાયલબેન મોદી, અગ્રણીઓ લાધુભાઇ પારઘી, હેમરાજભાઇ રાણા, દશરથસિંહ પરમાર, નિલેશભાઇ, પ્રાયોજના વહીવટદાર એમ.બી.ઠાકોર, આદિજાતિ મદદનીશ કમિશ્નર બી.એચ.ચૌધરી, દાંતા મામલતદાર તથા આદિજાતિ અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.