લગ્નમાં કંકોત્રીનું વિશેષ મહત્વ હોય છે. લગ્નમાં કંકોત્રી પાછળ મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે. હાલ બજારમાં અનેક પ્રકારની કંકોત્રી મળે છે. નરીવાસ્તવીકતા એ પણ છે કે, લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી કંકોત્રીનું કોઈ મહત્વ રહેતું નથી. ત્યારે કંકોત્રીનો સદઉપયોગ થાય અને પરિણયમાં પ્રકૃતિના જતનના સંદેશ થકી લગ્નને યાદગાર બનાવવાની અનોખી પહેલ મુકેશ માળીએ કરી છે.
ડીસા તાલુકાના વાસણા નવા ગોળિયા ગામના મુકેશભાઈ બાબુજી માળીએ પોતાના લગ્નમાં ફટાકડા, પાર્ટી, વરઘોડા સહિતના બિનજરૂરી ખર્ચ બંઘ કરી દીધો છે. એક કદમ જીવદયા અને પ્રકૃતિના જતન તરફની પહેલ કરી લગ્નની કંકોતરીને પક્ષીઘરમાં પરિવર્તિત કરી છે. આ કંકોત્રીમાંથી પક્ષી ઘર બનાવી શકાશે. ઘરે, આંગણામાં, પક્ષીઘરમાં પક્ષીઓની અવર જવરથી ઘરમાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે.
મુકેશભાઈ બાબુજી માળીએ જણાવ્યું હતું કે, લગ્નમાં ખોટા ખર્ચા ખૂબ થાય છે. લગ્નની ઉજવણીના ઉન્માદમાં આપણે પર્યાવરણ અને અબોલ જીવોને નુકસાન કરતા હોઈએ છીએ, ત્યારે આ શરૂઆત હું મારાથી જ કરવા માંગતો હતો.એટલે આ સંકલ્પ મેં જાતે કર્યો. મને ખૂબ ખુશી છે.આ કંકોત્રી સામાન્ય કંકોત્રીથી સાવ અલગ છે. કાગળના પૂંઠા સ્વરૂપની કંકોત્રી ફોલ્ડિંગ સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં સામાન્ય કંકોત્રી જેમ જ લગ્નના તમામ શુભ પ્રસંગની વિગતો આવરી લેવાઈ છે. આ કંકોત્રીને પક્ષીઘરમાં પરિવર્તિત કરી શકાતી હોઈ સ્વજનો માટે એક અનોખી યાદગારી બની રહી છે. એક કંકોત્રી પાછળ લગભગ 100 રૂપિયા જેટલો ખર્ચ થયો છે.