આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: હાલના સમયમાં કોરોના કરતા કોરોનાનાં ડર (Coronavirus fear)ના કારણે કેટલાય લોકો આઘાતમાં આવીને બાદમાં કોરોના સંક્રમિત થઈને મરી રહ્યા છે. કોરોનાના આ કહેરથી બચવા માટે સૌપ્રથમ માનસિક સ્થિતિ સુધારવાની જરૂર છે. વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ (Mental health) હશે તો કોરોનામાં અડધી બાજી આપોઆપ જીતી જાય છે. લોકોને માનસિક રીતે મજબૂત બનાવવા બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)ના સરહદી વિસ્તારમાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતા માનવતા ગ્રુપ દ્વારા ભાભર શહેર (Bhabhar city)ના મુખ્ય માર્ગો પર સકારાત્મક ઉર્જા ભરે એવા બેનરો લગાવવામાં આવ્યા છે.
કોરોનાના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવાના હેતુસર માનવતા ગ્રુપ ભાભર દ્વારા એક નવી પહેલ શરૂ કરાઇ છે. સામાન્ય રીતે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકો માનસિક રીતે ભાંગી પડે છે, તે સમયે તેઓને હિંમત, માનસિક હૂંફની ખૂબ જ જરૂર પડે છે, ત્યારે આવી સ્થિતિમાં લોકોનું મનોબળ મજબૂત બને તે માટે માનવતા ગ્રુપ દ્વારા ભાભરમાં બેનરોમાં શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબુત બને એવા પ્રયત્નો કર્યા છે.
"હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચુક્યો છું", "આભને ટેકો દેવાની તાકાત રાખું છું", "ભૂલતી નહીં ઓ મુસીબત, હું માણસ છું", "હું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છું", "મને ઇશ્વરે શક્તિઓ પ્રદાન કરી છે," "એમ થાકી હારી બેસુ શેનો, જીતુ નહીં તો હું માણસ શેનો", "ચડે પડે તોય લડે પણ હારે નહી, એ માણસની જાત" આવા અનેક પ્રેરણા આપતા સંદેશા સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે.