હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે અને આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની પડશે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. જે અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠાના કાંકરેજ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા એક પરીપત્ર જાહેર કરવામા આવ્યો છે, જે અનુસાર 23 જુલાઇથી 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા સલાહ આપવામાં આવી છે.
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓમાં પાણી આવી શકે છે ત્યાં જ બનાસ નદીના કિનારે આવેલા ગામના લોકોને સતર્ક રહેવા સુચના આપી દેવાઇ છે. સ્થાનિક લોકોને નદીના પટમાં અને ચાલુ પ્રવાહમાં ન જવા અપીલ કરવામાં આવી છે. આ અંગે ગામના તલાટીઓ અને સરપંચોને પણ જાણ કરી દેવામાં આવી છે. બનાસકાંઠામાં પુર જેવી સ્થિતિને પગલે જિલ્લા અને તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે ત્યાં જ પૂર અસરગ્રસ્ત વિસ્તાર પહેલા મદદ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠામાં અનેક તાલુકામાં ભારે વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો થરાદમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદથી અનરાધારની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે નારાંદેવી મંદિરથી માર્કેટયાર્ડ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ત્યાં ડ થરાદથી ઢીમાં જતા રસ્તે ઘૂંટણસમાં પાણીથી લોકો પરેશાન થઇ રહ્યા છે. અહીં રોડ રસ્તા નદી બનતાં વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
બનાસકાંઠાના વાવ પંથકમાં ભારે વરસાદના કારણે GEB સબસ્ટેશનમાં પાણી ભરાયા છે. વાવના તીર્થગામ 66 કેવી સબસ્ટેશનમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અહીં સબસ્ટેશનમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં હોવાથી GEBના કર્મચારીઓની મુશ્કેલી વધી ગઇ છે. સબસ્ટેશનમાં ભરાયેલ પાણીનો નિકાલ તાત્કાલિક થાય તેવી GEB કર્મચારીઓ અને લોકો માંગ કરી રહ્યા છે.