અમરેલીઃ આ વર્ષે રાજ્યમાં ઓછા વરસાદને કારણે વિવિધ વિસ્તારોનાં ખેડૂતો પોતાના ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે રેલી કાઢી રહ્યા છે. ખેડૂતોની રેલીને કોંગ્રેસ પણ સમર્થન કરી રહી છે. આજે અમરેલીના વડિયા ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ખેડૂતોની રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પરેશ ધાનાણી બળદગાડામાં બેસીને આવ્યા હતા. રેલી દરમિયાન ખેડૂતોએ બીજેપીની સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાથમાં પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. આ પ્લેકાર્ડમાં સરકાર વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. રેલી દરમિયાન અમુક ખેડૂતોએ અર્ધનગ્ન થઈને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ રેલીમાં જોડાયેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેલીને સંબોધન કરતા ખેડૂતોને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. એટલું નહીં બીજેપીની સરકાર પર આક્ષેપ કરતા તેને ખેડૂત વિરોધી ગણાવી હતી.
ખેડૂતોનો સરકાર સામે સૂત્રોચ્ચાર : આ રેલીમાં સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન ખેડૂતોએ 'પાણી માંગ્યું તો લાઠી આપી,' 'જુઠે વાદે જુઠી સરકાર, માત્ર વાયદા કરનારી છે સરકાર,' 'હાય રે ભાજપ હાય હાય,' 'ભાજપ સરકારને ક્યા કીયા, જનતા કો બરબાદ કીયા,'ખેડૂતોના દેવા માફ કરો,'મહિલાઓની લૂંટાતી રાજ, ભાજપ તારા ગુંડા રાજ' જેવા સૂત્રો પોકાર્યા હતા.
બાબરાના 57 ગામોના સરપંચની બેઠક યોજાઈ : બીજી તરફ અમરેલીના બાબરા તાલુકાના 57 ગામના સરપંચોની એક બેઠક યોજાઈ હતી. બેઠક બાદ તમામ લોકોએ મામલતદારને આવેનદપત્ર આપીને બાબરા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી હતી. એટલું જ નહીં પાક વીમાની તાત્કાલિક ચુકવણી તેમજ રાહતદરે ઘાસચારાનું વેચાણ કરવાની પણ માંગી કરી હતી. સાથે જ સરપંચોએ તેમની માંગણી નહીં સંતોષાય તો સામુહિક રાજીનામા ધરી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.