વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં પૂર્વ દક્ષિણના પવનો ફૂંકાય રહ્યા છે. અરબી સમુદ્ર તરફથી ભેજ આવવાના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણ કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અમુક જિલ્લાના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, ગાંધીનગર ,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ પણ થયો છે.
રાજ્યના વાતાવરણ પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણની અસર કૃષિ પાક પર પડી રહી છે. શિયાળામાં વરસાદ થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. પરંતુ હવામાન નિષ્ણાતનું માનવું છે કે, જાન્યુઆરીમાં તો વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે, સાથે જ ફેબ્રુઆરીમાં પણ વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળશે.
ફેબ્રુઆરી મહિનામાં બર્ફીલી ઠંડી પડશે. જેના કારણે જનજીવન પ્રભાવિત થશે. 4થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. હવામાનના પલટો આવશે. તેમજ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી રહેશે. 12થી 14 ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. અને 17થી 20 ફેબ્રુઆરીના હવામાનમાં પલટો આવશે.