અમદાવાદ: રાજ્યમાં વાતાવરણ જાણે ભાન ભૂલ્યું હોય તેમ માર્ચ મહિનામાં માવઠાની સાથે સાથે કરા પડી રહ્યા છે. શનિવારે 16 કલાકમાં 72 તાલુકામાં માવઠાનો કહેર વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભુજમાં માત્ર બે કલાકમા બે ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પાટણના સરસ્વતીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હજી આજે અને આવતી કાલે માવઠાનું વાતાવરણ રહેશે. જેના કારણે રાજ્યનાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઇ છે.
ગુજરાતમાં શનિવારે 72 તાલુકામાં વરસાદી વાતાવરણ છવાયું હતુ. ત્યારે અરવલ્લીંમાં મોડી રાતે ગાજવીજ સાથે માવઠું થયું હતુ. અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. મોડાસાનગરમાં પણ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસામાં ભારે પવન સાથે માવઠું થતા વીજળી પણ ડૂલ થઇ ગઇ હતી. લોકોને અંધારપટમાં આખી રાત વિતાવવાનો વારો આવ્યો હતો.
પાટણ શહેરમાં પણ ભારે કરા સાથે પવન અને વરસાદ વરસ્યો હતો. પાટણમાં બી એમ હાઇસ્કુલ માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. પાલિકા વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને જાણ કરાતા તેઓએ તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી વાહન શાખામાંથી ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો મારફતે સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર નીકાળ્યા હતા. તો પાટણ શહેરના રેલ્વે ગનાળા નીચે પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.
શનિવારે વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, શનિવારે સવારે 6 કલાકથી રાતનાં 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ ભુજમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે પાટણનાં સરસ્વતીમાં 41 એમએમ, અમદાવાદનાં માંડલમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાંબરકાંઠાના હિંમતનગરમાં 1.48 ઇંચ, અરવલ્લીનાં ધનસુરામાં 1.12 ઇંચ , પાટણનાં સિદ્ધપુરમાં અને બનાસકાંઠાના ડીસામાં 21 એમએમ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 23 જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. આજે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હાલ મિશ્ર ઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યુ છે. જેના કારણે કોરોના, ઈનફ્લુએન્ઝા, વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો લોકોને સુચના આપવામાં આવી છે કે જરુર ન હોય તો એન્ટિબાયોટિક્સ ન લેવી. આ વાયરલ રોગથી બચવા માટે અમદાવાદમાં આવેલ મણીબેન હોસ્પિટલમાં તમામ રોગના ઉપચાર થાય છે. ત્યારે મણીબેન હોસ્પિટલમાં ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ હોળી પ્રગટાવ્યા બાદ કઈ દિશામાં જાર જાય છે તેના પરથી ચોમાસાનો વર્તારો કાઢ્યો હતો. તેમણે અનુમાન લગાવ્યુ હતું કે, માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થઈ રહ્યું છે અને હજુ પણ માર્ચ મહિનામાં બીજું માવઠું થશે. જે અંતર્ગત માર્ચ મહિનામાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં અવારનવાર માવઠા સાથે કરા પડ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 14 થી 16 માર્ચમાં ફરી માવઠું થવાની આગાહી છે જે આગાહી સાચી સાબિત થઇ છે. સાથે જ 24 થી 25 માર્ચના દરિયામાં ઊંચા મોજા ઉછળશે. સાથે જ ભારે પવન ફૂંકાશે એટલે કે માર્ચ મહિનામાં વિપરીત વાતાવરણ રહેશે.rat we