અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રીજ તથા સરદાર બ્રીજની વચ્ચે બનાવવામાં આવેલા 'અટલ બ્રીજ'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે આજથી આ બ્રીજ પર પ્રવેશ ફી લાદવામાં આવી છે. જોકે, અમદાવાદ સહિત દેશમાં અટલ બ્રિજે ખાસ ધ્યાન ખેંચવાની સાથે લોકોને ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કળા વિશે વાત કરતાં કર્યા છે.
રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલો 'એન્જિનિયરિંગ અજાયબી' સમાન આ ફુટ ઓવર બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે. આઇકોનિક ફૂટ ઓવરબ્રીજને લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીનાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ આ આઇકોનિક ફુટ ઓવર બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાયકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝીબિશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રિવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.
અટલ બ્રીજની લાક્ષણિકતાઓ : - ધ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપ્મેન્ટ બોર્ડે 21 માર્ચ, 2018ના રોજ અટલ બ્રીજ પ્રોજેકેટને મંજૂરી આપી હતી. જે અંદાજીત 74 કરોડ રૂપિયામાં તૈયાર થયો છે. - અટલ બ્રીજની ડિઝાઇન સૌથી ખાસ છે. બ્રીજના છતના ભાગે રંગબેરંગી ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કાઇટ ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન કરવામાં આવ્યું છે. બ્રીજની રેલિંગ કાચ અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ તેને વધુ સુંદર અને ભવ્ય બનાવે છે. - અટલ બ્રિજ ખાસ પદયાત્રીઓ માટે જ છે. તેની પર વાહનની અવરજવર પ્રતિબંધિત છે.
- અહેવાલો અનુસાર, આ બ્રીજની ડિઝાઇન માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇ સ્થિત સ્ટપ કોન્સ્લટન્ટ્સની ડિઝાઇન પસંદગી પામી હતી. જ્યારે P&R (ઇન્ફ્રાપ્રોજેક્ટ લિ.)ને કોન્ટ્રાક્ટર તરીકે પસંદ કરાઇ હતી. આ કંપની અદભુત સ્ટીલ સ્ટ્રક્ચરમાં મહારથ ધરાવે છે. - આ પુલ એરિયલ વ્યૂહથી વિશાળ માછલી જેવો દેખાય છે - બ્રીજની કુલ લંબાઈ 300 મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન 100 મીટર છે. - બ્રીજના છેડેના ભાગે પહોળાઈ 10 મીટર તેમજ બ્રીજના વચ્ચેના ભાગે પહોળાઈ 14 મીટર છે. - સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે.
- 2600 મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે. - બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. - વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. - ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે છે.