હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી સાથે ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપી રાણાભાઈ નામના જ્યોતિષે વિધિ કરવાના બહાને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરી છે. જ્યોતિષે વિધિના નામે 80 હજારના સોનાના દાગીના લઆને ફરાર થઈ ગયો છે. આ કિસ્સો શહેરના સાબરમતી વિસ્તારમાં બન્યો છે કે જેમાં યુવતીએ ઈન્સ્ટાગ્રામ પરથી જ્યોતિષ સાથે મુલાકાત કરીને પોતાના પર આવી પડેલી મુશ્કેલીનું સમાધાન લાવવા માટે સંપર્ક કર્યો હતો. જેમાં જ્યોતિષે વિધિ કરવાની વાત કરીને રૂપિયા પડાવ્યા છે.
શહેરના સાબરમતીમાં 21 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે અને એક દવાની કંપનીમાં સેલ્સનું કામકાજ કરે છે. આ સાથે જ આ યુવતી અભ્યાસ પણ કરે છે. પોતાની કંપનીમાં નોકરી કરતા યુવક સાથે યુવતીનો પરિચયત થયો હતો અને પછી તેમની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. બાદમાં બંને અવાર-નવાર એકબીજાને મળતા અને વાતચીત કરતા હતા. કોઇ કારણસર બંને વચ્ચે મનદુઃખ થતા બ્રેકઅપ થયું હતું. પરંતુ યુવતી આ યુવકને ખુબ પ્રેમ કરતી હોવાથી પ્રેમી સાથે વાત કરવા માંગતી હતી.
આ દરમ્યાન એકાદ માસ પહેલા ઈન્સ્ટાગ્રામ ઉપર જ્યોતિષ રાણાભાઇની સાથે પરિચય થયો હતો. આ જ્યોતિષએ તેનો મોબાઇલ નંબર આપી શાસ્ત્રીનગર રહેતો હોવાનું જણાવી જ્યોતિષ વિધિમાં જાણકાર હોવાનું કહી વાતચીત કરતો હતો. યુવતીએ ફરિયાદી યુવતીને જણાવ્યું કે તેનો એક યુવક સાથે સંબંધ હતો અને તેને ખુબ જ પ્રેમ કરતી હતી પરંતુ તે કોઇ કારણોસર બ્રેકઅપ થઇ ગયું હતું. જેથી તે યુવતીને તેની સાથે સબંધ રાખવો છે અને બન્ને વચ્ચે સારૂ થઇ જાય તેવુ કંઈ કરવું છે તેવી વાત જ્યોતિષને કરી હતી.
રાણાભાઇએ અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનની સામે ફોન કરી યુવતીને બોલાવી હતી. ત્યાં યુવતી એકલી ગઈ અને આ રાણાભાઇ જ્યોતિષ મળી હતી અને વિધિ બાબતે વાતચીત કરી મને વિશ્વાસ અને ભરોસામાં લઇ યુવતી પાસેથી સોનાનુ હાથમાં પહેરવાનુ બ્રેસ્લેટ તથા લક્કી તથા સોનાની ચેન મળીને 80 હજાર રૂપિયાના દાગીના લઈને એક કલાકની વિધિ કરવાની વાત કરી હતી.
એકાદ કલાકમાં વિધિ પૂર્ણ કરી ફરિયાદીના દાગીના પરત આપવાની વાત જ્યોતિષે કરી હતી. બાદમાં આ રાણાભાઇ જ્યોતિષ પરત ન આવતા યુવતીએ ફોન કરેલ પરંતુ તેઓ હાલમાં વિધિ ચાલુ છે વિધિ પૂર્ણ થશે ત્યારે તમારા દાગીના પરત આપી દઈશ તેમ કહી બહાના બતાવી સોનાના દાગીના પરત આપ્યા નહોતા. અંતમાં યુવતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા આ મામલે ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.