અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. છેલ્લે 8 નવેમ્બરે જે બ્રેઇનડેડ વ્યક્તિનાં અંગોનું દાન થયું તેને ગણતરીમાં લેતા છેલ્લાં 50 દિવસમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદને 9મું અંગદાન મળ્યું છે.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી જણાવ્યું છે કે, મૂળ બિહારના શિવપુર જિલ્લાનાં રહેવાસી પણ કામધંધા અર્થે રાજકોટમાં રહેતા 19 વર્ષીય યુવક દીપકકુમાર અશોકરામ પ્રસાદનો અકસ્માત થવાથી માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. અહીં તેમને વેન્ટિલેટર પર રખાયા હતાં. 5 નવેમ્બરે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતાં.
પરિવારની સમજાવટ બાદ 8 નવેમ્બરના રોજ બ્રેઇનડેડ દીપકકુમારના હૃદય, ફેફસાં, કિડની અને લિવરનું દાન મેળવવામાં આવ્યું હતું.આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે અને એ રીતે અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે.અંગદાન મહાદાન માનવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ શોટોની ટિમ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે લોકોનાં બ્રેઇનડેડ થયા હોય તેના અંગોનું દાન કરવામાં આવે.