Parth Patel, Ahmedabad : મહાત્મા ગાંધીએ દેશમાં અંગ્રેજો સામે અહિંસાની લડત ચલાવવા માટે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. અમદાવાદમાં પાલડી ખાતે આવેલો કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળમાં અનેરું મહત્વ ધરાવે છે. મોટાભાગના લોકો સાબરમતી આશ્રમ વિશે તો જાણે છે. પરંતુ કોચરબ આશ્રમ વિશે બહુ ઓછા લોકો પરિચિત છે. તો આવો આપણે પણ જાણીએ કોચરબ આશ્રમની કેટલીક રસપ્રદ વાતો...
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ પહેલા કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. શરૂઆતમાં ગાંધીજી આ આશ્રમમાં રહેતા હતા. એવું કહેવાય છે કે, પહેલા અમદાવાદ હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં વધારે સારી રીતે થઈ શકે તે માટે અનેક લોકોની ઈચ્છાથી ગાંધીજીએ અમદાવાદને પસંદ કર્યું હતું. ગાંધીજીએ તે સમયે તેમના મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ પાસેથી અંદાજિત રૂ. 2 ના ભાડા પેટે આ જગ્યા લીધી હતી.
20 મે, 1915 એ આ આશ્રમનું વાસ્તુપૂજન કર્યું અને 22 મે, 1915 ના દિવસે કેટલાક અનુયાયીઓ સાથે તેઓ અહીં આવી વસ્યા હતા. જો કે કોચરબ આશ્રમમાં મુકાયેલી તકતીમાં આશ્રમની સ્થાપનાની તારીખ 25 મે, 1915 લખવામાં આવી છે. ગાંધીજી એવું માનતા હતા કે, વ્યક્તિગત ગુણ વિકાસ અને સામાજિક પરિવર્તન સાધવા માટે આશ્રમ આવશ્કય છે. જેમાં પ્રયોગશાળા અને તાલીમ કેન્દ્ર પણ હોવું જોઈએ.
ગાંધીજીએ પત્રમાં લખ્યું છે કે, મિત્રોની સાથે સારી પેઠે ચર્ચા કરી. છેવટે આશ્રમનું નામ સત્યાગ્રહાશ્રમ રાખવામાં આવ્યું. મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારું જ જીવવવાનું અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સટોય આશ્રમની સ્થાપના કરી હતી. ભારત પરત ફરી તેમણે સમયાંતરે કોચરબ, સાબરમતી અને વર્ધા આશ્રમની સ્થાપના કરી. જેમાં સમાજના દરેક વર્ગને સાથે રાખીને અહિંસક સમાજની રચના અને આઝાદી કેવી રીતે મેળવી શકાય તે માટેના પ્રયોગો શરૂ કર્યા.
આ કોચરબ આશ્રમ ખાતેથી સ્વરાજ માટેની લડતના મંડાણ મંડાણા હતા. આ આશ્રમમાં ગાંધીજીએ સત્ય, અહિંસા અને સ્વદેશી સહિતના 11 વ્રતો પાળવાના હતા. શરૂઆતમાં અહીં ગાંધીજી સાથે 20-25 લોકો જ રહેતા હતા. જોતજોતામાં આશ્રમમાં 80 લોકોની સંખ્યા થઈ ગઈ. જેથી આશ્રમ નાનો પડવા લાગ્યો અને સમય જતાં આશ્રમને સાબરમતી ખાતે ખસેડવામાં આવ્યો. હાલમાં આ આશ્રમનું સંચાલન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે.
કોચરબ આશ્રમના કર્મચારીએ જણાવ્યું હતું કે અહીં રહેવા માટે 10 રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં દરેક વ્યક્તિએ ગાંધીવાદી ફિલસૂફી મુજબ દિનચર્યા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોચરબ આશ્રમના એક્ટિવિટી સેન્ટરમાં બાળકોને ચરખા બનાવવા, માટીના રમકડા બનાવવા, સાવરણી બનાવવા, સુથારીકામ વિશે માહિતગાર કરવામાં આવશે. જેના દ્વારા બાળકો ટેક્નોલોજીના વધતા પ્રભાવ વચ્ચે મૂળભૂત બાબતોને ભૂલી ન જાય.