રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને (Gujarat rains) પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની (Gujarat rain warning) આગાહી કરવામાં આવી છે.
રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે. ઉપરાંત 13 NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. અને SDRFની 11 તથા NDRFની 02 ટીમો એમ અન્ય 13 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
પટેલે ઉમેર્યુ ઉમેર્યુ કે, રાજ્યમાં થયેલ સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ 2,03,237 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના 60.83 ટકા જેટલો છે. હાલ 124.52 મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના 205 જળાશયો પૈકી 108 જળાશયો હાઇ એલર્ટ પર, ૧૪ જળાશયો એલર્ટ પર અને 17 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 68 છે. રાજ્યમાં કુલ 44 નદીઓ અને 41 મોટા તળાવ ઓવરફલો થયા છે.
સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 94.57 ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.61 ટકા રાજ્યમાં છેલ્લા બે માસમાં થયેલાં વરસાદને પરિણામે 13,108 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલ 2077 લોકો આશ્રયસ્થાનોમાં છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વરસાદને પરિણામે ચાર જિલ્લાના 43 ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. એ જ રીતે રાજ્યના એસટી બસની 6 રૂટ પરની 20 ટ્રીપો બંધ કરવામાં આવી છે.
ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના 8 અને પંચાયત હસ્તકના 127 તથા અન્ય 3 મળી કુલ 138 રસ્તાઓ બંધ કરાયા છે. તે ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તા.25મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા આદેશો કરાયા છે. તેમજ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે 94.99 ટકા જેટલું વાવેતર થઇ ગયું છે.