અમદાવાદ: વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 31 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને સામાન્ય કમોસમી વરસાદ થશે. આ માવઠાની આગાહીને કારણે જગતનો તાત પરેશાન થયો છે. તેમના આખા વર્ષની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યુ છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 31 માર્ચ સુધીમાં ગાજવીજ અને પવન સાથે માવઠાની આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતા વ્યાપી ગઇ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છ તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 31 માર્ચે સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરતા જણાવ્યુ કે, 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.