હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં તારીખ 26થી 30મીની સવાર સુધી હવામાન સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 30મી તારીખની સવાર સુધીમાં રાજ્યમાં વરસાદની સંભાવના નથી. જોકે, તે બાદ વધુ એક સર્ક્યુલેશન આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદ થશે. 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જેના પગલે ચાલુ વર્ષે બજારમાં ઘઉંના ભાવ ઉંચા રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસેલા કમોસમી વરસાદથી કૃષિ ઉત્પાદનને માઠી અસર પડી છે. ઘઉંની સિઝન વખતે જ માવઠાને કારણે ગુણવતા અને ઉત્પાદન પર અસર પડી છે. સિઝન વખતે જ આવક ઓછી થઈ રહી છે. આ સાથે લોકો પણ હાલ ઘઉં લેવાનું ટાળી રહ્યા છે.
તો બીજી બાજુ, કવાંટ તાલુકાના જાંબલી ગામના એક વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા દર વર્ષે પીવાના પાણીની સમસ્યા થાય છે. ગામના તમામ બોરમાં હાલ જળ સ્ત્રાવ નીચે જતા રહેતા પાણીની તંગી ઊભી થઇ છે. લોકોને પોતાના વાહન દ્વારા દૂરથી પાણી લાવવું પડે છે તો કેટલીક મહિલાઓને એક બોરથી બીજા બોર પર પાણી મેળવવા ભટકવુ પડે છે. સરકારની નલ એ જળ યોજના પણ આ ગામમાં નિષ્ફળ નીવડી છે. આજ દિન સુધી તેમાં એક ટીપું પાણી આવ્યું નથી તેવું ગામના લોકોનું કહેવું છે.
ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે. ત્યારે માવઠું પડવાથી શાકભાજીનો પાક જેવો કે કોબી, ફ્લાવર, મૂડી, રીંગણી મરચી, રતાળુ જેવા પાકમાં જીવાત બેસી ગઈ છે. તેમ જ વધુ પડતાં પાણીને લીધે મોટાભાગનો પાક બળી ગયો છે. જેના કારણે ખેડૂતને મોટે પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.