અમદાવાદ: ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર આજથી માવઠાનો માર શરૂ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન ખાતાએ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આજથી 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. આજથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. જ્યારે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યુ છે કે, હવામાન વિભાગનું અનુમાન છે કે, 29થી 31 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને સામાન્ય વરસાદ થશે. આ માવઠાની આગાહીને કારણે જગતનો તાત પરેશાન થયો છે. તેમના આખા વર્ષની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યુ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે, આજથી 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. આજથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા અને કચ્છ પંથકમાં આજે માવઠું પડવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે નહીં પરંતુ ગુરુવારના રોજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છ તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય માવઠું થશે. આવતી કાલે, 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.