વિભુ પટેલ, અમદાવાદ: વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થયું છે. જ્યારે કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે (gujarat weather forecast on holi) અને મહત્તમ અને લઘુતમ તાપમાન પણ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં માવઠાની આગાહી છે.
મોંઘવારીના મારમાં ખેડૂતો પર માવઠાનો માર પણ પડી રહ્યો છે. જ્યારે હવે તહેવારો પર પણ માવઠાની અસર જોવા મળશે. કારણ કે, 7 માર્ચે હોળી છે. હોળી સાંજે પ્રગટાવવામાં આવે છે, પરંતુ માહોલ જોતા લાગે છે અમુક વિસ્તારમાં હોળી પર માવઠાનું પાણી ફરી વળશે. કેમ કે, 7 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર અને રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, થન્ડર સ્ટ્રોમ એક્ટિવીટી પણ સાંજના સમયે થતી હોય છે. એટલે લોકો પણ મૂંજવણમાં છે કે આ માવઠુ હોળી પ્રગટાવવા દેશે કે નહીં?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું થયું છે. જેના કારણે પાકને નુકસાન થયું છે. શિયાળું પાક તૈયાર થઇ ગયો છે, પરંતુ માવઠાએ પાણી ફેરવી દીધું છે. ગીરમાં પણ કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતી છે. કારણ કે, ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડે તો પણ કેરીનો પાક ખરી પડે છે. બીજી બાજુ, અમદાવાદ શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો છે અને ભારે પવન ફૂંકાય રહ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.