વિભુ પટેલ, અમદાવાદ: રાજસ્થાન પર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. બંગાળીની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજ આવતા રાજ્યના કેટલાક શહેરનું વાતાવરણ ધૂંધળું બન્યું છે. આવામાં હવામાન વિભાગે પણ 4થી 6 માર્ચે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી (Ambalal Patel Weather Forecast) કરી છે. 4થી 8 માર્ચ દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને સામાન્ય વરસાદ થશે. માવઠું થવાનું કારણ એ છે કે, બંગાળના ઉપસાગરના પવનો અને અરબ સાગરના ભેજ જ્યાં મળે છે ત્યાં વાદળો બનશે અને હળવું માવઠું થશે. મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, અમદાવાદના ભાગોમાં સામાન્ય વરસાદ થશે. સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટા સાથે વરસાદ થશે. અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં માવઠું થશે.
4 થી 8 માર્ચમાં માવઠું થવાનું છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 14 અને 15 માર્ચમાં પણ હવામાન પલટશે અને માર્ચ મહિનામાં વારંવાર વાદળછાયું વાતાવરણ રહેશે. 23થી 25 માર્ચમાં સમુદ્રમાં હલચલ વધશે. જોકે, સમુદ્રની હલચલથી ગુજરાતમાં વાતાવરણ પર શું અસર પડશે તેની સ્પષ્ટતા કરી નથી. મે મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં કંઇ પણ હલચલ થશે તો તેની અસર ગુજરાતના હવામાન પર પડશે.
માર્ચ મહીનામાં વાદળછાયું વાતાવરણ, પશ્ચિમ વિક્ષેપો વચ્ચે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જશે. એપ્રિલમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં બંગાળના ઉપસાગર ચક્રવાતનું વધશે. જોકે, અંબાલાલ પટેલનું મોટાભાગના હવામાનને લઈ જાહેર કરેલા અનુમાન સાચા પડ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં વધુ એક વખત વાતાવરણમાં પલટો આવશે અને મે મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રવાત આવવાનું અનુમાન જાહેર કર્યું છે.
રાજ્યમાં ઉનાળાની શરુઆત થય ગઈ છે. રાજ્યમાં ઉતર ઉતરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. બપોર થતા ગરમીનો અહેસાસ થય રહ્યો છે. ઉનાળાની શરુઆત જ આકરી ગરમીથી થઇ છે. મહત્તમ તાપમાન 38 ડીગ્રી આસપાસ પહોંચી ગયુ છે. હજુ પણ 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે અને 48 કલાક તાપમાન યથાવત રહેશે. પરંતુ ચાર માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.