વડગામ વિધાનસભા બેઠક પરથી જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાંથી ઉભા રહ્યા હતા અને તેઓ જીતી ગયા છે. દલિત યુવા નેતા તરીકે પ્રખ્યાત થયેલા જિગ્નેશ મેવાણી 2017માં અપક્ષ ઊભા રહ્યા હતા અને જીત મેળવી હતી. આમ, પ્રોફેશનલ રીતે તેઓ વકીલ છે અને સામાજિક અને રાજનૈતિક કાર્યકર્તા તરીકે પણ ઊભરી આવ્યા છે. આ વખતે તેમની સામે આપની ટક્કર વચ્ચે મુસ્લિમ અને દલિત વોટબેન્ક ટકાવી રાખવાની ચિંતા છે. તેમનો મુકાબલો ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયા સાથે હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા સીટથી બીજી વાર મેદાનમાં ઉતર્યા છે અને તેઓ આ વખતે 1.51 લાખની જંગી બહુમતી સાથે વિજયી બન્યા છે. આ સીટ પર કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને આપમાંથી વિજય પટેલ મેદાનમાં ઉતર્યા છે. 60 વર્ષીય ભૂપેન્દ્ર પટેલે 2017માં કોંગ્રેસના હરીફને ખૂબ મોટી લીડથી હરાવ્યા હતા. ભૂપેન્દ્રભાઈ આ વખતે પણ ભાજપ તરફથી ગુજરાતના મુખ્યમંત્રીના ઉમેદવાર છે.
ભારતીય જનતા પાર્ટીના જામનગર ઉત્તરની વિધાનસભા બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા મેદાનમાં ઉતર્યા છે અને તેઓ 50,456 વોટથી જીત્યાં છે. પહેલા તબક્કાના મતદાન વખતે મુખ્ય ક્ષેત્રોમાંથી એક જામનગર ઉત્તર પણ છે. આ ચૂંટણીમાં ભાજપના રિવાબા જાડેજાનો મુકાબલો કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આપના કરસન કરમૂર સાથે થયો હતો.
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર ભાજપના યુવા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે અને તેમણે પણ બહુમતી સાથે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે પ્રવક્તા અને પાટીદાર નેતા હિમાંશુ પટેલને અને આપે દોલત પટેલને ઉમેદવારી આપી છે. આ સીટ પર ઠાકોર વોટર્સની બહુમતી છે. ત્યારબાદ પાટીદાર અને ત્રીજા નંબરે દલિત સમુદાય છે.
અમદાવાદના વિરમગામ વિધાનસભા સીટ પર ભાજપે ફાયરબ્રાન્ડ પાટીદાર નેતા હાર્દિક પટેલને મેદાને ઉતાર્યો છે અને તેમણે પણ જીત મેળવી છે. હાર્દિક પટેલ પાર્ટીના સ્ટાર પ્રચારકોમાંથી એક છે. જૂનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તેમની પહેલી વિધાનસભા ચૂંટણીનો મુકાબલો કોંગ્રેસના ધારાસભ્ય લખાભાઈ ભરવાડ અને આપના અમરસિંહ ઠાકોર સામે હતો. આ સિવાય પ્રસિદ્ધ દલિત કાર્યકર્તા કિરિટ રાઠોડે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે. તેઓ સુરતની મજૂરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપે તેમને આ સીટ પરથી ત્રીજીવાર ટિકિટ આપી છે. આ સીટ પર આમ આદમી પાર્ટીએ પીવીએસ શર્મા અને કોંગ્રેસે બળવંત શાંતિલાલ જૈનને ટિકિટ આપી છે. ત્યારે મતગણતરી કરતા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની પ્રચંડ બહુમતી સાથે જીત થઈ છે.
ભાવનગર ગ્રામીણ સીટ પર ભાજપે પાંચમીવાર ધારાસભ્ય અને કોળી સમુદાયના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકી પર ભરોસો મૂક્યો છે અને તેઓ જીતી ગયા છે. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે. પરષોત્તમ કોળી સમાજના મોટાનેતાઓમાંથી એક છે. આ કોળી સમુદાયના વર્ચસ્વવાળી સીટ 2012માં અસ્તિત્વમાં આવી હતી. આ સીટ પર કોંગ્રેસે રેવતસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીએ ખુમાણસિંહ ગોહિલને ટિકિટ આપી છે.
પૂર્વ પત્રકાર અને ટીવી એન્કર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. તેઓ દ્વારકા જિલ્લાની ખંભાળિયા સીટ પરથી આપના ઉમેદવાર છે. આ સીટ પર ભાજપે મૂળુભાઈ બેરા અને કોંગ્રેસે વિક્રમભાઈ માડમને ઉમેદવાર બનાવ્યાં છે. ત્યારે ભાજપના મૂળુ બેરા આ સીટ પરથી વિજયી બન્યા છે અને ઇસુદાન હારી ગયા છે.
ભેમાભાઈ ચૌધરી દિયોદર વિધાનસભા ક્ષેત્ર બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં આવે છે. આ સીટ પર ચર્ચિત ચહેરામાં સામેલ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી છે, જે ગુજરાતમાં પાર્ટીને લોન્ચ કરતા સાથે જ જોડાયા હતા. તેમનો મુકાબલો ભાજપના કેશાજી શિવાજી ચૌહાણ અને કોંગ્રેસના ભીમાભાઈ ચૌધરી સામે હતો. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ભૂરિયા શિવભાઈ અમરાભાઈએ ભાજપના ચૌહાણ કેશાજી શિવાજીને 972 વોટથી હરાવ્યા હતા. ત્યારે આ વખતે અહીંથી ભાજપના કેશાજી ચૌહાણ જીત્યા છે.