ઋત્વીજ સોની, અમદાવાદ: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ડબલ મર્ડર (Ahmedabad double murder case)નો બનાવ સામે આવ્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ (Suicide attempt) કર્યો હતો. જોકે, આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ન થતા અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી. યુવકે જે કૃત્ય કર્યું છે તે ભલભલાને હચમચી નાખે તેવું છે. આરોપીના પિતા (Father)નું થોડા વર્ષો પહેલા અવસાન થયા બાદ તે અને તેની માતા કાકા સાથે રહેતા હતા. આરોપી યુવક કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી પરિવારે ઠપકો આપતા આવેશમાં આવીને બંનેની હત્યા કરી નાખી હોવાનું પોલીસને પ્રાથમિક (Primary investigation) તપાસમાં લાગી રહ્યું છે. આરોપી માતા અને કાકાની હત્યા કર્યાં બાદ બે દિવસ મૃતદેહની બાજુમાં લોહીલુહાણ હાલતમાં બેસી રહ્યો હતો.
"મેં મારા માતા અને કાકાની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મારું મોત થઈ શકતું નથી." આ શબ્દો ઈસનપુર વિસ્તારમાં આવેલા સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યાના છે. વરુણે તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરુણે આ ઘટનાની જાણ તેના સબંધીને કરી હતી. જોકે, પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ સ્થળે વરુણ લોહીલુહાણ હાલમાં જોવા મળ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
વરુણને સારવાર માટે મોકલ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેની માતા વંદનાબેન (Vandanaben Pandya) અને કાકા અમુલભાઈ (Amulbhai Pandya)નો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે કે સોમવારે વરુણે તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગળેફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. છરીના ઘા મારવા છતાં તેનું મોત થયું ન હતું. જે બાદમાં વરુણ બે દિવસ સુધી લોહીલુહાણ હાલતમાં રૂમમાં બંને મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. અતે કંટાળીને તેણે તેના સગાને આ બાબતની જાણ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સાત-આઠ દિવસ પહેલા વરુણના બહેન કિન્નરી (Kinnari Pandya)નું પણ હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. જેનો આઘાત તેઓ સહન કરી શક્યા ન હતા. જ્યારે બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આર્થિક સંકડામણને કારણે તેણે આ પગલું ભર્યું હોય શકે છે. મૃતક અમુલભાઈ પંડ્યા કોર્પોરેશનમાં પબ્લિક હેલ્થ ઑફિસર (Public health officer) તરીકે કામ કરતા હતા. સાતેક વર્ષ પહેલાં તેઓ નિવૃત્ત થયા છે.
વરુણના પિતા રજની પંડ્યાનું થોડા વર્ષે પહલા અવસાન થયું હતું. જે બાદમાં વરુણ અને તેમની માતા કાકા સાથે રહેતા હતા. વરુણે માતા અને કાકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બીજી તરફ વરુણ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પરિવારે ઠપકો આપતા આવું પગલું ભર્યાનું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે એફએસએલની મદદ લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે.