સંજય ટાંક, અમદાવાદ: આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર એટલે કે ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને અમદાવાદનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. બાબાના દર્શન માટે અને બાબાના દિવ્ય દરબારનો લાભ લેવા માટે ઉમટતી ભીડને ધ્યાને રાખીને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે. ખાસ કરીને જ્યાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો છે તે વિસ્તારના કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવશે. તેમજ વાહનચાલકોને અવર જવર માટે વૈકલ્પિક માર્ગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. (ફાઇલ તસવીર)
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી બાબા બાગેશ્વર ચર્ચામાં છે. માત્ર ઈલેક્ટ્રોનિક મીડિયા જ નહિ સોશિયલ મિડિયા પર પણ બાબા છવાયેલા છે. એટલુ જ નહિ થોડા દિવસ અગાઉ બિહારમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો હતો જેમાં અનુમાન કરતા વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. હવે એ બાબા બાગેશ્વરનો અમદાવાદમાં પણ દિવ્ય દરબાર યોજાવાનો છે. તેને લઈને ટ્રાફિક વિભાગની કસરત વધી ગઈ છે. જો કે પ્રસાશન દ્વારા આ આયોજનને લઈ વિગતવાર જાહેરનામુ પણ બહાર પાડવામાં આવશે. (ફાઇલ તસવીર)
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં 29મી અને 30મી મેના રોજ બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આમ તો આ વિસ્તારમાં પહેલાથી જ ટ્રાફિક રહેતો હોય છે. જેથી કરીને ટ્રાફિક વિભાગના અધિકારીઓએ દિવ્ય દરબારના આયોજકો સાથે બેઠક કરી અને આ વિસ્તારનો કયો રોડ બંધ કરી શકાય અને કયા વિસ્તારમાં વાહનો અવરજવર કરી શકે તેની ચર્ચા કરી હતી. વૈકલ્પિક રસ્તો વાહનચાલકો માટે ખુલ્લો રાખવાના રુટ પર પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓ દ્વારા નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. (ફાઇલ તસવીર)
જે જગ્યાએ દિવ્ય દરબાર યોજાવાનો છે તે ચાણક્યપુરી બ્રિજના છેડે ડમરુ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ તરફ જવાનો આખો રોડ બંધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ડમરુ સર્કલથી સોલા ભાગવત તરફ જતો માર્ગ ખુલ્લો રહેશે જ્યાંથી વાહન ચાલકો અવરજવર કરી શકશે. પહેલા આયોજકો દ્વારા ચાણક્યપુરી બ્રિજ બંધ કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ એ બ્રિજ બંધ કરવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને તેવી શક્યતાના પગલે બ્રિજ બંધ નહિ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. (ફાઇલ તસવીર)