પ્રણવ પટેલ, અમદાવાદ : જીગ્નેશ મેવાણીની ધરપકડના (Jignesh Mewani Arrest)વિરોધમાં કોંગ્રેસ (Congress)દ્વારા રાજ્યભરમા અલગ અલગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે. લોકશાહી બચાવો સંવિધાન બચાવોના નારા સાથે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)દ્વારા અમદાવાદ મેમ્કો ચાર રસ્તાથી ઓમકાર નગર સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરાયું હતું. પ્રદેશ પ્રમુખ સહિત ધારાસભ્યે અને કોંગ્રેસ નેતાઓ હાજર હતા. રેલી બાદ ઓમકાર નગર ખાતે રેલી સભામાં પરિવર્તિત થઇ હતી.
પ્રતિકાર રેલીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor)નિવેદન આપતા કહ્યું હતુ કે જીગ્નેશ મેવાણીનું મોરલ તોડવા અને ઉત્સાહ તોડવા ખોટા કેસ થયા છે. 19 તારીખે ફરિયાદ બાદ 20મીએ પોલીસ અમદાવાદ પહોંચી ગઈ હતી. એકમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં ફસાવાઈ રહ્યા છે. બીજા કેસમાં છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ કરવામાં આવશે. જીગ્નેશ સામે અન્ય રાજ્યોમાં પણ ફરિયાદ કરવામાં આવશે. કોંગ્રેસ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં હંમેશા ઉભી રહેશે. કોંગ્રેસના બેનર નીચે રેલી હતી અને કોંગ્રેસે લીડ લીધી છે. છેલ્લા દિવસોમાં દલિત સમાજની ઘણી સંસ્થાઓએ સમર્થન આપ્યું તેમનો આભાર માનું છું.
વધુમા જગદીશ ઠાકોર કહ્યું હતુ કે ચૂંટણી મહિનામાં આપે કે બે મહિનામાં આપે. ભાજપ અખતરા કરે છે અને ટેસ્ટ કરે છે. આ અખરતામાં 460 વોલ્ટનો તાર પકડાઈ ગયો છે. આ વોલ્ટ એવો છે કે તેને ઝટકો લાગશે. આજે દેશના ભવિષ્ય પર મોટો ખતરો છે તેમ માનીને ચાલવું પડશે. આજે જેટલી NGO સંસ્થા બેઠી છે તેમને વિનંતી છે કે એક થઈ જઈએ. આપડે એક થઈ જઈએ તો કાલે સવારે ચૂંટણી આવે તો પણ ભુક્કા બોલાવી દઈશું.
તેમણે કહ્યું કે ભાજપ આપણને જુદા પડા છે અને આપણે ભેગા થવું પડશે. મને સમાચાર મળ્યા કે જીજ્ઞેશ ભાઈની ધરપકડ થઈ છે. આખી ટીમ 4 વાગ્યા પહેલાં એરપોર્ટ પર હાજર થઈ ગયા હતા. કોઈ ગરીબ આદિવાસી હોય કે આગેવાન હોય સરકારી સિસ્ટમ સામે લડતો હોય તો 200 ગાડીઓ સાથે પોલીસ સ્ટેશન જવાનો કાર્યક્રમનું આહ્વાન કરૂ છું. જીગ્નેશ મેવાણીને જેલમાં નાખીને ખોટું કર્યું છે. રાવણનો જીવ તેની નાભિમાં હતો. ભાજપની નાભિ એટલે તેની સત્તા અને તેની ખુરશી છે. આપણે તેવું તીર ચલાવું છે કે સત્તા પર તીર વાગે અને અહંકાર તૂટે. સમય લઇને બધાએ નીકળવાનું છે. સરકારની ભૂલ કે જીગ્નેશ મેવાણી પર હાથ નાખ્યો છે. માત્ર અમદાવાદ કે ગુજરાત નહિ દેશના એક એક રાજ્યમાં કોંગ્રેસનું નેતૃત્વ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં છે.