હર્મેશ સુખડિયા, અમદાવાદ: સાસરિયાઓના ત્રાસે વધુ એક પરિણીતાનો (married woman suicide) જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઇસ્કોન બ્રિજ (Iscon bridge) પરથી એક યુવતીએ ઝંપલાવી દેતા હવે તેના મોત બાદ ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. ઘણા મહિના સુધી યુવતીની સારવાર ચાલી અને સાસરિયાઓ ફરકયા પણ નહીં હોવાનો આરોપ મૃતક યુવતીના ભાઈએ કર્યો છે. હવે આ જ ત્રાસ આપનાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તેઓને શોધી રહી છે.
આ તસવીરમાં દેખાતી ક્રિષ્નાએ વર્ષ 2020માં જ અમિત ઉર્ફે આકાશ ચાવડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર માસ બાદથી જ સાસુ સસરા નણંદ અને ફોઈજી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવાર નવાર દહેજને લઈને અને પતિથી છૂટું કરવા આ સાસરિયાઓ દબાણ કરતા અને ત્રાસ આપતા હતા. સાસરિયાઓ એ આ ક્રિષ્નાને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર આવી ગઈ અને નોકરી ચાલુ કરી દીધી હતી.બસ 18 જાન્યુઆરી એ પણ ક્રિષ્ના નોકરીએ ગઈ, ત્યાં હાફ ડે લઈને તે મિત્રના લગ્નમાં જવાની હતી પણ તે પહેલા જ તેણે ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત નો પ્રયાસ કર્યો અને તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હોવાનું મૃતક ના ભાઈ ફેનીલ ઠાકોરે જણાવ્યું છે.
યુવતીને સારવાર અર્થે ખસેડી ત્યારે તેણે તેના ભાઈને કહ્યું કે, હું ઘણા સમયથી રિસામણે છું. સાસુ સસરા ફોઈજી સાસુ પતિથી અલગ કરવા ત્રાસ આપે છે. પતિ સાથે વાત પણ ન કરવા ન દેતા હું સતત ટેનશનમાં રહેતી. જેમાં પતિ અમિતનો કોઈ વાંક નથી. હું કામ પર હોવું ત્યારે પણ સાસુ સસરાની ત્રાસ દાયક વાતો મગજમાં ફર્યા કરતી. આ લોકોએ ભવિષ્ય અને જિંદગી બગાડી નાખતા હું બેચેન રહેતી હતી. મને જીવવાની આશા નહોતી, જીવવા કરતા મરી જવું વધારે સારું. આ વાત સાંભળી યુવતીના પિયરજનોએ સાસરિયાઓને ફોન કર્યો તો તેઓએ ક્રિષ્ના મરી જાય તો ય અમારે લેવા દેવા નથી તેમ કહી ફોન મૂકી દીધો અને યુવતીની ખબર કાઢવા પણ ન ગયા.