વિભુ પટેલ, અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ નગર કરવા માંગણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના સીનિયર સિટીઝન સોશિયલ ગ્રૂપ દ્વારા ચાંદલોડિયા રેલવે સ્ટેશનનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ નગર રાખવા માટે માંગ કરી છે. ઉત્તર પ્રદેશમાં મોગલસરાઈનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય નગર રેલવે સ્ટેશન કરાયું છે. તેમજ મંડુવાડીહ રેલવે સ્ટેશનનું નામ બનારસ રેલવે સ્ટેશન કર્યું છે. તેવી જ રીતે ચાંદલોડિયા રેલવે સ્ટેશનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ નગર રાખવામાં આવે. સીનિયર સિટીઝન સોશિયલ ગ્રૂપ દ્વારા રેલવે સહિત કેન્દ્ર અને રાજ્યમાં લેટર લખીને રજુઆત કરી છે. 31 ઓક્ટોબર પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલ નગર કરવા રજુઆત કરવામાં આવી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ નગર શા માટે? - સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ હતા. અમદાવાદ શહેર વોટર ડ્રેનેજ સિસ્ટમ કાર્ય તેમજ એમટીએસની શરૂઆત કરાવી હતી. શહેરના વિકાસ અને દેશને આઝાદી અપાવવા અને એકતાનું પ્રતીક છે. એટલા માટે ચાંદલોડિયા રેલવે સ્ટેશનનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ નગર રાખવું સર્વે દ્રષ્ટિકોણે યોગ્ય છે.
મહત્વપૂર્ણ છે કે 60 વર્ષ પહેલાં ચાંદલોડિયા રેલવે સ્ટેશન બન્યું છે. ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર રિઝર્વેશન સેન્ટરની પણ સુવિધા છે. 12 જોડી ટ્રેનના સ્ટોપેજ છે. ચાંદલોડિયા રેલવે સ્ટેશન કાઉન્ટરની અંદાજે આવક 2 લાખ 75 હજાર આસપાસ છે. જે 2014માં માત્ર 2 હજાર આસપાસ હતી. ચાંદલોડિયા રેલવે સ્ટેશન સોરાષ્ટ્રઅને ઉત્તર ભારત તરફ જોડતું સ્ટેશન છે.