સંજય ટાંક, અમદાવાદ: 'રામ રાખે તેને કોણ ચાખે' આ ઉક્તિ એક નવજાતના કિસ્સામાં સાચી ઠરી છે. મોરબીના પાંચ મહિનાના રાજવીરને એકાએક શ્વાસ લેવામાં તકલીફ (Breathing problem) ઊભી થઇ હતી. એક ક્ષણે હ્યદય ધબકતુ બંધ થઇ ગયું હતું. રાજવીરને શ્વાસની તકલીફ સાથે અમદાવાદ સિવિલ (Ahmedabad Civil Hopsital)માં દાખલ કરાયો હતો. અહીં તબીબોની સમયસૂચકતા, સધન સારવારથી બાળકનું હ્યદય (Heart) પુન:ધબકતુ થયું હતું અને બાળકને નવજીવન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અનેક નવજાત જન્મ સાથે શારીરિક ખોડખાપણ કે બીમારીથી પીડિતા હોય છે. મોરબીના શૈલેષભાઇ રાઠવાના ઘરે પણ કંઈક આવું જ થયું હતું. પાંચ મહિનાનોરાજવીર હજુ તો પાપા-પગલી માંડતા પણ શીખ્યો ન હતો ત્યારે વિધાતાએ ન જાણે તેના નસીબમાં શું લખ્યું હતું કે તેને એકાએક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. ચિંતાતુર બનેલો પરિવાર તેને મોરબીની સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. અહીં રાજવીરને ઓક્સિજન પર રાખવા પડ્યો હતો. જોકે, ધીમેધીમે રાજવીરની હાલત વધુ નાજુક થવા લાગી હતી, જેથી વધુ સધન અને શ્રેષ્ઠ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.
રાજકોટમાં તબીબોને રાજવીરની સ્વાસ્થ્ય તકલીફોમાં હ્યદય સંબંધિત તકલીફો વધારે ગંભીર જણાતા તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રિફર કર્યો હતો. જે બાદમાં પાંચ મહિનાના રાજવીરને તેમના માતા-પિતા અમદાવાદ સિવિલ મેડિસીટીમાં શ્વાસ લેવાની તકલીફ સાથે લાવ્યા હતા. એકાએક શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હ્યદયના ઘબકારા અપ્રમાણસર બની ગયા હતા. મધ્યાંતરે વિવિધ પ્રકારના તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તબીબી સારવાર ચાલી રહી હતી એવામાં હ્યદયના ધબકારા બંધ પડી ગયા!!! જિંદગી અને મોત વચ્ચે રીતસર ઝઝૂમી રહેલો રાજવીર અંતે જીત્યો હતો. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન.મહેતા હ્યદયરોગ હોસ્પિટલના તબીબોની સમયસૂચકતા ભરી સારવાર દ્વારા Cardiopulmonary resuscitation (CPR) (કૃત્રિમ રીતે હ્યદય પર દબાણ ઊભું કરી હ્યદયને પુન:ધબકતું કરવું) અને ઇન્જેકશન આપી રાજવીરના હ્યદયને પુન:ધબકતું કરવામાં આવ્યું હતું. આ કોઈ ચમકાત્કારથી ઓછું ન હતુ!
રાજકોટથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા બાદ રાજવીરની તબીયત નાજુક બનતા તેને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ઇકોકાર્ડિયોગ્રામ ટ્રિક્સપીડ રેગર્ગાઇટેશન અને પલ્મોનરી હાઇપરટેન્શન સાથે નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ છઈ હતી. સી.ટી. સ્કેન કરાતા જાણવા મળ્યું કે છાતીના ભાગમાં 6*5*4 સે.મી.ની મહાકાય ગાંઠ જોવા મળી જે રાજવીરના ફેફસાં અને મુખ્ય શ્વાસનળી ઉપર દબાણ ઊભું કરી રહી હતી. આ કારણોસર જ રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઇ રહી હતી.
રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતા તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠના સારવારની આકસ્મિક જરૂરિયાત ઊભી થતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે, જે જન્મજાત જ હોય છે પરંતુ સમય જતા તેના કદમાં વધારો થતો જાય છે. જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જોખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને અત્યંત જોખમી માનવામાં આવે છે.
સિવિલ હૉસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ મહેશ વાઘેલાએ રાજવીરની બ્રોન્કોજેનિક સિસ્ટની સર્જરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન 6*5*4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી. આ ગાંઠ ફેંફસા અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી જે કારણેસર જ રાજવીરને શ્વાસ લેવામાં હાલાકી ભોગવવી પડી રહી હતી. 10થી 15 દિવસની લાંબી સારવાર બાદ તે સ્વસ્થ્ય થઈને ઘરે પરત ફર્યો હતો.