સંજય ટાંક, અમદાવાદ: ચાલુ વર્ષે વરસાદે સમગ્ર રાજ્યને (Gujarat Monsoon) પાણી પાણી કરી નાખ્યું છે. આ વખતે પણ અમદાવાદમાં (Ahmedabad rain harvesting) પણ ધમાકેદાર વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રથમવાર કોઈ સરકારી સ્કૂલમાં વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલમાં રેઇન વોટર હારવેસ્ટિંગ (rain water harvesting) અને રિચાર્જનો પ્લાન્ટ (recharge plant) બનાવ્યો છે. આ સ્કૂલ બાદ આગામી દિવસોમાં વધુ 9 શાળાઓમાં આ પ્રકારે પ્લાન્ટ લગાવવામાં આવશે.
સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા જણાવે છે કે, સૂર્ય શોભા વંદના સંસ્થાને સાથે રાખીને આ પ્રોજેકટ શરૂ કરાયો છે. અમદાવાદની સરકારી શાળામાં સૌપ્રથમ વાર વોટર રિચાર્જિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય, સતત નીચું ઉતરી રહેલું જળસ્તર ઊંચું આવે એવા પ્રયાસના ભાગરૂપે સામાજિક સંસ્થા દ્વારા વોટર રિચાર્જિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.
સ્કુલનાં 5 હજાર સ્ક્વેર મીટરના ધાબા પરનું પાણી સીધું ભૂગર્ભમાં ઉતરશે. વોટર રિચાર્જિંગ સિસ્ટમ સાથે વોટર કેલ્યુલેટર મીટર જોડવામાં આવ્યું છે, કેટલું પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે, તેની માહિતી આ મીટર આપશે. આ વખતે પડેલા વરસાદમાં એક કલાકમાં 5 હજાર લિટરથી વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યું. આ પ્લાન્ટથી આખા વર્ષમાં 2 લાખ લીટર પાણી જમીનમાં ઉતારવામાં આવશે. આગમી દિવસોમાં અન્ય 9 શાળાઓમાં આ પ્રોજેકટ લગાવવામાં આવશે.
આ પ્રોજેકટ અંગે વધુ વિગત આપતા સંસ્થાના અર્પિતાબેને જણાવ્યું કે, રેઇન વોટર હારવેસ્ટિંગ અને રિચાર્જ માટે તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટમાં બે અલગ અલગ ટાંકા બનાવવામાં આવ્યા છે. સ્કૂલના ધાબામાંથી આવતું વરસાદી પાણી ચળાઈ અને ગળાઈને આવે તે માટે એક ટાંકા માં રેતી અને કપચી પાથરવામાં આવી છે. જેથી શુદ્ધ પાણી જમીનમાં ઉતરે. વોટર રિચાર્જિંગ સિસ્ટમની મદદથી પાણી ભૂગર્ભમાં ઉતરશે એટલે આસપાસની 100 સોસાયટીઓમાં પાણી મળી રહેશે.