વિભુ પટેલ, અમદાવાદ : એરપોર્ટ (Ahmedabad airport) , બસ્પોર્ટ અથવા તો રેલવે સ્ટેશન પર જઈએ ત્યારે સતત જાહેરાતો સાંભળવા મળે છે. સતત એનાઉન્સમેન્ટથી પ્રવાસીઓ કંટાળી જાય છે. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટ પર સતત એનાઉન્સમેન્ટ થતું સંભળાશે નહિ અને શાંતિનો અહેસાસ થશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport ) પર કોમ્યુનિકેશનના નવા યુગનો પ્રારંભ થયો છે.
SVPI એરપોર્ટ શાંત અને સતત ઉદઘોષણાઓથી મુક્ત એવુ 'સાયલન્ટ એરપોર્ટ' (silent airport) બની ગયું છે. મુસાફરોના સુખદ અને બહેતરીન અનુભવ માટે સતત પ્રયાસરત અમદાવાદ એરપોર્ટ ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને 'સાયલન્ટ એરપોર્ટ' બન્યું છે. જોકે મુસાફરો મહત્વની ઘોષણાઓ ચૂકી ન જાય તેની ખાતરી માટે એરપોર્ટ પર 100થી વધુ સ્ક્રીનો પર ફ્લાઇટ્સની માહિતી પ્રદર્શિત થતી રહેશે.
આ સ્ક્રીન્સ ટર્મિનલ્સની બહાર, ચેક-ઈન હોલ અને સિક્યોરિટી હોલ્ડ એરિયામાં મોખરાના સ્થળોએ મૂકવામાં આવી છે. સાયલન્ટ એરપોર્ટ પર મુસાફરોને હળવા શ્રાવ્ય અનુભવનો આનંદ માણી શકે તે માટેની એક પહેલ છે. મુસાફરો કોઈપણ જાતની ખલેલ વિના પ્રતીક્ષા સમયનો ઉપયોગ તેમની મનપસંદ પ્રવૃત્તિઓમાં કરી શકે છે. સાયલન્ટ એરપોર્ટનો અર્થ છે મુસાફરોને પુસ્તક વાંચવા, ટ્રાવેલ પાર્ટનર સાથે વાતચીત કરવા, મનપસંદ સંગીત સાંભળવા કે જરૂરિયાત મુજબનું કામ કરવાની સવલત માટેનો વધુ સમય મળી રહેેેશે.
તાજેતરમાં SVPI એરપોર્ટ પર શહેરના યુવા કલાકારો દ્વારા કરવામાં આવેલા લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સને મુસાફરોએ બિરદાવ્યુ હતું. SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરતા સમયે આવા ઇવેન્ટ્સ અને પર્ફોર્મન્સ અવારનવાર જોવા મળી શકે છે. ગુરુવાર અને શુક્રવારે શહેરના કલાકારો દ્વારા વાંસળી, ગિટાર, સિતાર અને વાયોલિન સાથેના જીવંત પ્રદર્શનને મુસાફરોએ ભારોભાર વખાણ્યું હતું. ભવિષ્યમાં પણ મુસાફરોના સમયનો સાર્થક ઉપયોગ કરી શકે તે માટે શહેરના એરપોર્ટ પર આવી પેસેન્જર એંગેજમેન્ટ પ્રવૃત્તિઓમાં થતી રહેશે.