

142મી રથયાત્રાને લઇ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાંથી આજે તેમનું મોસાળું મંદિરમાં આવશે. ગઇકાલે સરસપુર રણછોડરાય મંદિરમાં મોસાળાના દર્શન યોજાયા હતા. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને મોસાળામાં આપવામાં આવતા શણગારના હજારોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા. તેમજ મામેરાના દર્શન માટે શ્રદ્ધાળુઓએ કડીયાવાડથી મંદિર સુધી લાઈન લગાવી હતી.


ગઇકાલે સાંજે 4થી રાતે 9.30 સુધી મામેરાના શણગાર સરસપુર રણછોડ મંદિરમાં લોક દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતાં. આ મામેરામાં સોનાનો ઢોળ ચઢાવાયેલો દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચઢાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4 વાગ્યાથી રાતે 9.30 વાગ્યા સુધી ભાણેજોને ફળોનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો.


ભગવાનનાં મામા બનવાનો કાનજી પટેલ અને તેમના પરિવારમાં ઘણો જ ઉત્સાહ છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનો લ્હાવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે. તેમણે અમારી સાથે વાત કરતાં જણાવ્યું કે, '20 વર્ષ પહેલા અમે ભગવાનના મામેરા માટે નામ નોંધાવ્યું હતું. 20 વર્ષના લાંબા સમય બાદ અમારા પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. જેનાથી અમે લોકો બધા બહું જ ઉત્સાહિત છીએ.' મહત્વનું છે કે આ મામેરા પાછળ આશરે રૂ.10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.


પોતાની ખુશી વ્યક્ત કરતાં કાનજીભાઈએ જણાવ્યું કે, જગતના નાથનું મામેરું કરવાની મારી ખૂબ ઈચ્છા હતી. આજથી 20 વર્ષ પહેલા જેમણે મામેરું કર્યું હતું, તે જોઈને મને ઈચ્છા થઈ હતી કે, હું પણ આ રીતે મામેરુ કરું. ત્યારે મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આખરે લકી ડ્રોમાં મારો નંબર લાગ્યો છે. તેથી અમે પોતાની જાતની નસીબદાર ગણાવીએ છીએ.


આ મામેરા માટે ભગવાનના વાઘા ઘી કાંટામાં રહેતા યતીનભાઈ પટેલે બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પિછવાઈ, પાથરણું, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને 35 દિવસ થયા હતા. આશરે 50 હજાર રૂપિયાનાં વાઘા ભગવાનને ચઢાવવામાં આવશે. ભગવાનના વાઘામાં ગજરાજ પણ મુકવામાં આવ્યા છે. આ પહેલા પણ તેમને ભગવાનનાં વાઘા બનાવવાનો લાભ મળ્યો હતો.