

હિતેન્દ્ર બારોટ/પ્રણવ પટેલ, અમદાવાદ : આણંદનાં (Anand) આંકલાવનાં લોકો ગઇકાલે અંબાજીથી દર્શન કરીને ઊંઝા ઉમિયા માતાજીનાં દર્શન કરવા ગયેલા મુસાફરો ભરેલી લક્ઝરી બસને સોમવારે એટલે 30 સપ્ટેમ્બરનાં રોજ સાંજે ચાર કલાકે ત્રિશુળિયા ઘાટનાં વળાંકમાં પલટી ખાતાં 21 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 55 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે. જેમાં 20 લોકોને દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. જ્યારે 35 લોકોને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આજે વધુ એક ઇજાગ્રસ્તનું મોત નીપજ્યું છે. આ ગોજારા અકસ્માતમાં (Ambaji Accident) મૃત્યું પામેલા લોકોનાં પરિવારને સીએમ વિજય રૂપાણીએ (CM Vijay Rupani) સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સામે કોંગ્રેસ પ્રદેશ (Gujarat Congress) પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) મૃતકોનાં પરિવારને 10 લાખ રૂપિયા આપવાની વિનંતી કરી છે. આ સાથે ઇજાગ્રસ્તોને મફત સારવાર અને 5 લાખ રૂપિયાના સહાય કરવાની માંગ કરી છે.


કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટર પર એક ટ્વિટ સાથે વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'અંબાજી પાસે આણંદ જિલ્લાનાં યાત્રાળુઓની બસનો અકસ્માત સર્જાતા 21 જેટલા નાગરિકોના મૃત્યુ અને 45થી વધુ ઘાયલ થયા છે. જેઓ ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબ પરિવારના છે. ત્યારે મૃતકોના પરિવારને 10 લાખની અને ઘાયલોને મફત સારવાર અને 5 લાખની સહાય માન. મુખ્યમંત્રીશ્રીના રાહતનિધિમાંથી ફાળવવા વિનંતી.' (મૃતકોની યાદી)


ઉપરાંત મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ઢાળ રોડ પર બસનાં લિસોટા પડી ગયા છે. આધારભૂતો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બસ ઓવરસ્પીડ હતી. વરસાદના કારણે ડ્રાઈવરે બ્રેક મારતાં જ બસની તિવ્રતા વધી હતી તેથી બસ પલટી ગઇ હોઇ શકે. (મૃતકોની યાદી)


નોંધનીય છે કે, આંકલાવનાં તાલુકાનાં પ્રવાસીઓ સોમવારે સાંજે લક્ઝરી બસમાં (જીજે-1 એઝેડ 9795) અંબાજીથી દર્શન કરીને ઊંઝા માતાજીનાં દર્શન કરવા જઇ રહ્યાં હતાં. તે દરમિયાન ત્રિશુળિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસેના વળાંક પર બસ યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડ તથા વરસાદને કારણે પાછલું વ્હિલ અધ્ધર થઇ ગયું હતું. જેથી ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી થઇ ગઇ હતી. (મૃતકોની યાદી)


દુર્ઘટના બાદ વાતાવરણમાં યાત્રીઓની ચિચિયારીઓથી ગમગીની છવાઈ ગઈ હતી. ગોજારા અકસ્માતને કારણે આખા માર્ગ પર દોડધામ મચી હતી. દાંતા અને અંબાજીથી જેસીબી મંગાવી લક્ઝરી બસને ઉંચી કરવામાં આવી હતી અને એમાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તેમને તરત જ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં.