આ વર્ષે બજેટમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ નાંણા મંત્રાલયે પ્રાઈવેટ સેક્ટરના સેલેરાઈડ કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતી લીવ ઇનકેશમેન્ટની રકમ પર ટેક્સ છૂટની મર્યાદાને વધારીને 25 લાખ રુપિયા કરી દીધી છે.
અત્યાર સુધી બિનસરકારી કર્મચારીઓ માટે લીવ ઇનકેશમેન્ટ એટલે કે રજાઓના બદલે મળતા રુપિયાની રકમ પર ટેક્સ છૂટ ફક્ત 3 લાખ રુપિયા હતી. આ મર્યાદા 2002માં નક્કી કરવામાં આવી હતી જ્યારે સરકારી ક્ષેત્રે ઉચ્ચ પગાર 30,000 રુપિયા પ્રતિ મહિના હતો.
જોકે આ ટેક્સ છૂટ મર્યાદા ત્યારે જ લાગુ પડશે જ્યારે કર્મચારી નોકરી છોડે છે અથવા તો નિવૃત્ત થાય છે. માટે ધ્યાન રાખો કે જો તમે નોકરી દરમિયાન રજાના બદલે રુપિયા લો છો તો લીવ ઇનકેશમેન્ટ પર પહેલાની જેમ જ ટેક્સ લાગશે.
એક વર્ષની અંદર એકથી વધુ નોકરી છોડાવા પર પણ વધુમાં વધુ 25 લાખની ટેક્સ છૂટની મર્યાદા લાગુ પડશે. હવે આ વાતને એ રીતે સમજીએ કે તમે મે મહિનામાં A માનની કંપનીમાં નોકરીમાંથી રાજીનામુ આપ્યું અને તમને 23 લાખ રુપિયા લીવ ઇનકેશમેન્ટ સ્વરુપે મળ્યા. પછી તમે B નામની કંપનીમાં જાવ છો અને ત્યાં થોડા મહિના જ નોકરી કરીને ફેબ્રુઆરીમાં નોકરી છોડી દો છો. આ દરમિયાન તમને B કંપનીમાંથી લીવ ઇનકેશમેન્ટ સ્વરુપે 3 લાખ રુપિયા મળ્યા. તેવામાં તમને 25 લાખ રુપિયા પર ટેક્સ છૂટ મળશે જ્યારે 1 લાખ રુપિયા પર ટેક્સ આપવો પડશે.
CharteredClub.com ના કો ફાઉન્ડર કરણ બત્રાએ કહ્યું કે, '25 લાખ રુપિયાની મર્યાદા પર તેનાથી વધુ રકમ પર ટેક્સ બ્રેકેટના આધારે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે.' મહત્વનું છે કે 1 ફેબ્રુઆરી 2023 ના રોજ રજૂ કરવામાં આવેલ બજેટમાં કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લીવ ઇનકેશમેન્ટમાં ટેક્સ છૂટ મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. હવે 25 મેના રોજ આ બાબતનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
સરકારે નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ નિર્ણય 1 એપ્રિલથી લાગુ કરી દેવામાં આવ્યો છે.