ઇસ્લામાબાદ : પુલવામા આતંકી હુમલાના 9 કલાક પછી પાકિસ્તાન સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાને આ ઘટનાને 'ગંભીર ચિંતાનો વિષય' જણાવી છે. જોકે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ ઘટના અંગે હજુ સુધી કંઈ કહ્યુ નથી.
સામાન્ય રીતે ટ્વિટર પર દરેક મુદ્દાને લઈને સક્રિય રહેતા ઇમરાન ખાન આ ઘટના અંગે ચૂપ છે. ગત વર્ષે વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાન સોશિયલ મીડિયા પર સતત ભારતને વણમાંગી સલાહ આપતા રહ્યા છે. પરંતુ આ વખતે જૈશ-એ-મોહમ્મદે આતંકી હુમલાની જવાબદારી લીધા બાદ ઈમરાન ખાન ચૂપ થઈ ગયા છે.
પાકિસ્તાન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને દુનિયાના કોઈ પણ ખૂણામાં થયેલી હિંસાની હંમેશા નિંદા કરી છે. અમે કોઈ પણ પ્રકારની તપાસ વગર આ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડવાના ભારતીય સરકાર કે મીડિયાના દાવાઓને રદ કરીએ છીએ.
બીજી તરફ ભારતે પુલવામાં આતંકી હુમલાને લઈને પાકિસ્તાનની નિંદા કરી છે. સાથે જ આતંકીઓને મળતી સહાય બંધ કરી દેવાની, તેમજ તેના જમીન પર રહેલા આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દેવાની માંગણી કરી છે.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના એક ફિદાયીન હુમલામાં સીઆરપીએફના 37 જવાન શહીદ થઈ ગયા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જૈશ-એ-મોહમ્મદના સ્થાનિક આતંકીએ વિસ્ફોટકો ભરેલી એક કાર સીઆરપીએફના જવાનો લઈને જઈ રહેલી એક બસ સાથે અથડાવી દીધી હતી. આ કારમાં 200 કિલોગ્રામ વિસ્ફોટક ભરેલું હતું. 2016માં ઉરીમાં થયેલી ભીષણ આતંકી હુમલા બાદ આ સૌથી મોટો આતંકી હુમલો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર